મોરબી માર્કેટિંગ યાર્ડમાં ‘રોકડી’ કરવાનો ખેલ: શાકભાજી વિભાગના વેપારીઓનો PMO અને CM સુધી પોકાર

ગાડી દીઠ ₹1000 ઉઘરાવી સીધા વેચાણની છૂટ આપતા તંત્ર સામે રોષ; વેપારી અગ્રણી મયુર કારિયાએ ધારાસભ્યો અને પૂર્વ સાંસદને કરી ધારદાર રજૂઆત મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ના શાકભાજી વિભાગમાં હાલ ભારે અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. યાર્ડના સંચાલકો દ્વારા લેવામાં આવેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને કારણે નાના અને મધ્યમ વેપારીઓનો વેપાર ખતમ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે વેપારી અગ્રણી મયુર કારિયાએ સોશિયલ મીડિયા ‘X’ ના માધ્યમથી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, મોરબી યાર્ડના સંચાલકો દ્વારા બટેટાની ગાડી દીઠ ₹1000 ઉઘરાવીને સીધા વેચાણની છૂટ આપવામાં આવી રહી છે. દરરોજની અંદાજે 10 ગાડીઓ પાસેથી કુલ ₹10,000 જેવી રકમ ઉઘરાવીને અમુક મોટા વેપારીઓના હિત સાધવામાં આવી રહ્યા છે. આ નીતિને કારણે જે વેપારીઓ પોતાની દુકાન ધરાવે છે અને નિયમ મુજબ ખેડૂતોના માલનો વેપાર કરે છે, તેમના સુધી ગ્રાહકો પહોંચતા બંધ થયા છે.માત્ર આર્થિક નુકસાન જ નહીં, પણ શાકભાજી વિભાગમાં ટ્રાફિક જામ, ગેરકાયદેસર રીતે ખાલી વાહનો ઊભા રાખવા અને પેટા ભાડે દુકાનો ચલાવવા દેવા જેવા અનેક પ્રશ્નો લાંબા સમયથી વણઉકેલ્યા છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે, યાર્ડનું તંત્ર આ પ્રશ્નો હલ કરવાને બદલે માત્ર ‘ટૂંકી બુદ્ધિ’ ના નિર્ણયો લઈને વેપારને નુકસાન પહોંચાડી રહ્યું છે.આ ગંભીર પ્રશ્ને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ ઉઘરાણા બંધ કરવામાં નહીં આવે અને વેપારીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં:યાર્ડમાં ચક્કાજામ અને હડતાળ પાડવામાં આવશે.આગામી તમામ ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષ વિરુદ્ધ મતદાન કરવાની ફરજ પડશે.મોરબી જિલ્લા કલેકટર આ બાબતે તપાસ કરી યોગ્ય પગલાં ભરે તેવી માંગ વેપારી મંડળ દ્વારા કરવામાં આવી છે.









