
દેવમોગરા મેળા પૂર્વે રોડ-રસ્તા, પાર્કિંગ, પીવાના પાણી, અને લોકોની સલામતીની વ્યવસ્થા મુદ્દે ચૈતર વસાવાએ સૂચન આપ્યા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 05/02/2026 – મહાશિવરાત્રીના રોજ દેવમોગરા ખાતે યાહ મોગી માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ મીટીંગ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેળાના આયોજન માટે સારા સારા સૂચનો ખૂબ આવ્યા છે અને મંદિરના ટ્રસ્ટીઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક આ તમામ તરફ ધ્યાન આપ્યું છે. હું અન્ય બે ત્રણ સૂચનો મુદ્દે વાત કરીશ. આમસે દાદા મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓને આ મેળા વિશે જાણકારી આપે એવી વિનંતી છે અને અમે પણ સ્થાનિક એસપી અને આઇજીને આ મુદ્દે જણાવીશું કે આ જાત્રા દરમિયાન કોઈપણ શ્રદ્ધાળુને સ્થળ સુધી પહોંચવામાં કોઈ સમસ્યા ન થાય. સાથે સાથે મધ્યપ્રદેશથી આવેલ આગેવાનોને પણ વિનંતી છે કે તેઓ પણ મધ્યપ્રદેશ પ્રશાસનને આ મુદ્દે જાણ કરે. અનેક રાજ્યોમાંથી લોકો આ જાત્રામાં ભાગ લેવાના છે તો સરકારે અને પ્રશાસને આ મુદ્દે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન દોરવું પડશે. ખાસ કરીને રોડ-રસ્તા, પાર્કિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, રાત્રી રોકાણની વ્યવસ્થા, સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવી પડશે.
પાર્કિંગથી લઈને તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પોલીસે અને આયોજકોએ કરવી પડશે. સાથે સાથે ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગના લોકો પણ ખડેપગે રહે એ જરૂરી છે. તો આ રીતે સુચારુ આયોજન થાય અને લાખોની સંખ્યામાં આપણા સમાજના લોકો શ્રદ્ધા સાથે આવે અને માતાજીના દર્શન કરે એવી વ્યવસ્થા ઊભી થાય એવી આપણે કોશિશ કરીશું. લાખોની સંખ્યામાં લોકો આવશે અને ઘણા લોકો પાસે પોતાની ગાડીઓ નહીં હોય માટે આપણે એસટી નિગમને પણ આ મુદ્દે વ્યવસ્થા કરવા માટે જાણ કરવી પડશે. ગુજરાતમાં અંબાજીથી લઈને દાહોદ સુધી તમામ બેલ્ટમાં બસોના રૂટ બનાવે અને એ વિસ્તારથી લઈને દેવમોગરા સુધી આવવાના અને દેવમોગરાથી લઈને પાછા તેમના વિસ્તાર સુધીના રૂટ બને એ મુદ્દે રજૂઆત કરવી પડશે. આ રીતે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના એસટી નિગમને પણ રજૂઆત કરવી પડશે. સાથે સાથે અનેક અખાડા વાળા લોકો આવીને દુકાનદારો પાસે પૈસા માંગે છે અને જેના કારણે ગઈ વખતે થોડી માથાકૂટ પણ થઈ હતી તો આપણે ધ્યાન રાખવું પડશે કે કયા અખાડાવાળા ક્યાંથી આવે છે અને પોલીસ વિભાગે પણ ધ્યાન રાખવું પડશે તથા એ અખાડાના લોકોને કેટલું દાન આપવું એ પણ જોવું પડશે જેથી કોઈને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.




