NANDODNARMADA

નર્મદા : કેન્દ્રિય કોલસા અને ખાણ મંત્રાલયના મંત્રી જી.કિશન રેડ્ડીએ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

નર્મદા : કેન્દ્રિય કોલસા અને ખાણ મંત્રાલયના મંત્રી જી.કિશન રેડ્ડીએ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

કોલસા અને ખાણ મંત્રાલયના કેન્દ્રિય મંત્રી જી.કિશન રેડ્ડીએ નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાજંલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં તેમણે સરદાર સાહેબના જીવન પ્રસંગો,પ્રતિમાના નિર્માણ પ્રક્રિયા અને ભારતના એકિકરણ માટેના સંઘર્ષોને સુંદર રીતે રજૂ કરવામાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.

તદ્દઉપરાંત, સરદાર સાહેબના હ્રદય સ્થળ વ્યૂઈંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિંદ્યાચલ અને સાતપુડાની ગિરિકંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિદર્શનની સાથે પ્રદર્શની કક્ષમાં ગાઈડશ્રી મયુર રાઉલ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી.

 

આ તકે, કેન્દ્રિય મંત્રીએ મુલાકાત પોથીમાં નોંધ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ખૂબ જ ઉત્તમ ટેકનોલોજી અને ભવિષ્યનું વિઝન છે. સરદાર વલ્લભભાઇના કારણે જ આજે હૈદ્રાબાદ રાજ્ય પણ આઝાદ છે. હૈદ્રાબાદ રાજ્ય (હાલનું તેલંગાણા) ના લોકો સરદારને ક્યારેય ભૂલશે નહિ.

વધુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક તાંતણે જોડવામાં પ્રમુખ ભૂમિકા નિભાવી હતી, સરદાર સાહેબના કારણે ભારત એકતાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, હું હૈદરાબાદથી આવું છું અને આઝાદી બાદ લગભગ 13 મહિના પછી તેલંગાણાને આઝાદી મળી હતી, હૈદરાબાદના નિઝામે તે સમયે ભારતમાં ભળવાની ના પાડી હતી, તેમણે પાકિસ્તાનમાં ભળવા માટેના પ્રયાસ કર્યા હતા, સ્વતંત્ર રાજ્ય રાખવાનો પણ તેમણે પ્રયાસ કર્યો, યુનાઇટેડ નેશન્સનો પણ તેમને સંપર્ક કર્યો હતો. નિઝામ અને તેના મળતિયાઓ હૈદરાબાદ રાજ્યમાં પ્રજા ઉપર અત્યાચાર ગુજારતા હતા તે બાબત ધ્યાને આવતા સરદાર સાહેબના આદેશથી નિઝામના સૈનિકોને પરાસ્ત કરવા ઇન્ડિયન આર્મીને મોકલીને તેમની ઉપર હુમલો કરી નિઝામને હરાવી હૈદરાબાદ રાજ્યને સ્વતંત્ર કરાવ્યું હતું. તેલંગાણાની પ્રજા ક્યારેય સરદાર સાહેબને ભૂલી નહીં શકે.’જ્યાં સુધી સૂરજ, ચાંદ રહેશે, ત્યાં સુધી તેલંગાણામાં સરદાર સાહેબનું નામ રહેશે

Back to top button
error: Content is protected !!