જંબુસર નગર ના નાગેશ્વર તળાવમાં નગરજનો માટે નર્મદા ના નીર આવતા ધારાસભ્ય ડી.કે.સ્વામી,પાલિકા પ્રમુખ અમિષાબેન શાહ તથા અગ્રણીઓ ધ્વારા વધામણા કરાયા.જંબુસર નગર ના નગરજનો ના વર્ષો જુના સ્વપ્ન સમા નર્મદા ના મીઠા નીર પાઈપલાઈન મારફતે નગર ના નાગેશ્વર તળાવ ખાતે આવતા ધારાસભ્ય ડી.કે.સ્વામી,પાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહ સહિત ભાજપ ના અગ્રણીઓ તથા પાલિકા સદસ્યોએ વધામણા કર્યા હોવાના તથા નર્મદા ના નીર તળાવ મા આવતા નગરજનો મા આનંદ ની લાગણી પ્રવર્તી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર નગર માં વર્ષો થી પીવાના મીઠા પાણીનો યક્ષ પ્રશ્ન હતો. નગરજનો પીવાના મીઠા પાણીની કાગડોળે રાહ જોતા હતા. અને મીઠા પાણીનો પ્રોજેક્ટની કામગીરી દસ વર્ષથી ચાલી રહી હતી. જેમાં નર્મદા નહેર માંથી પાણી જોડાણની પ્રક્રિયા અટકી ગઈ હતી. નગરજનોને પીવાનું મીઠું પાણી મળી રહે તે માટે જંબુસર ધારાસભ્ય એ આપેલ વચન પૂર્ણ કરવા ધારાસભ્ય ડી કે સ્વામી તથા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન વીરેનભાઈ શાહ,શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિત પાલિકા સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.અને નર્મદા નહેરમાંથી પાણી લેવાની મંજૂરી મેળવી હતી અને પાલિકાની સાધારણ સભામાં એચઆર સ્ટ્રક્ચર બનાવવા માટેની મંજૂરીનો ઠરાવ કરી એસ્ટીમેન્ટ મુજબ જરૂરી નાણા નર્મદા નહેર વિભાગ માં ભરતા પાણીની લાઈનની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઘણા વર્ષો પહેલા નાખેલ પાઇપલાઇનમાં ઠેર ઠેર ભંગાણ હોય જેને રીપેર કરતા કરતા જંબુસર નગરના નાગેશ્વર તળાવમાં નર્મદા નહેરનું પાણી આવતા ધારાસભ્ય ડી કે સ્વામી, નગરપાલિકા પ્રમુખ અમીશાબેન શાહ સહિત ઉપસ્થિત રહી નર્મદાના પાણીની પૂજા કરી વધામણા કર્યા હતા.આ પ્રસંગે શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર,જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, મહામંત્રી કૌશલ્યાબેન દુબે, મનનભાઈ પટેલ સહિત નગરપાલિકા સદસ્યો, અગ્રણીઓ હાજર રહ્યા હતા. જંબુસર નગરપાલિકા દ્વારા નાગેશ્વર તળાવ ખાતે નર્મદાના પાણીનું ટેસ્ટિંગ કરાતા નગરજનોને હવે પીવાનું મીઠું પાણી મળી રહેશે તેવી આશા બંધાઈ છે.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ