નિરોણામાં વીર દેવાયત બોદરની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની પુષ્પાંજલિ અર્પણ.
વીર દેવાયત બોદરના શૌર્ય અને બલિદાનને યાદ કરાયું.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા, તા. ૨૭ માર્ચ : શ્રી વીર આહીર દેવાયત બોદર સાર્વજનિક ટ્રસ્ટના આયોજન હેઠળ આજે નિરોણા ગામે વીર દેવાયત બોદરની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીનાં વાતાવરણમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી મુરલીધર આહીર સમાજ ટ્રસ્ટ- નિરોણા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સરપંચ નરોત્તમભાઈ આહીર, સમાજના અગ્રણીઓ, યુવાનો તેમજ વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વીર દેવાયત બોદરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને અગ્રણીઓ દ્વારા હારારોપણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ગામની દીકરીઓ દ્વારા વીર દેવાયત બોદરની પ્રતિમાને કુમકુમ તિલક કરી, પુષ્પ અર્પણ કરી આરતી કરવામાં આવેલ હતી.આ અવસરે વક્તાઓએ પોતાના સંબોધનમાં વીર દેવાયત બોદરના દેશપ્રેમ, શૌર્ય અને બલિદાનને યાદ કરતા જણાવ્યું કે તેઓએ રાષ્ટ્રહિત માટે આપેલા યોગદાનથી સમાજને પ્રેરણા આપી છે. તેમની રાષ્ટ્રવાદી વિચારધારા અને સમાજસેવાના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાની જરૂરિયાત પર પણ ભાર મુકાયો હતો.કાર્યક્રમ દરમિયાન ગામજનોમાં ભાવનાત્મક અને દેશભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. અંતે સર્વે ઉપસ્થિતોએ પુષ્પાંજલિ સાથે શબ્દાંજલિ અર્પણ કરી વીર દેવાયત બોદરની પવિત્ર સ્મૃતિને નમન કરેલ હતું.












