દાહોદ સબ જેલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

તા.૦૪.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સબ જેલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) આર.પી. બારોટ સાહેબ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ સબ જેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જેલ અધિક્ષક, જેલના કર્મચારીઓ તેમજ બંદિવાનો દ્વારા ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે જેલ પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા હતા.વિશેષ નોંધનીય બાબત એ છે કે દાહોદ સબ જેલ દ્વારા ગત વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે “એક વૃક્ષ બહેનના નામે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંદિવાનોએ પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે વૃક્ષના રોપાઓ ભેટ આપવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને આગળ વધારતા આ વર્ષે જેલના બંદિવાનો દ્વારા આશરે ૨૦૦ જેટલા વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા છે.આગામી બે માસ દરમિયાન જેલના બંદિવાનો દ્વારા આ રોપાઓની નિયમિત માવજત, સંભાળ અને ઉછેર કરવામાં આવશે. ત્યારબાદ રક્ષાબંધન પર્વના દિવસે રાખડી બાંધવા આવનાર પોતાની બહેનોને આ ઉછેરેલા વૃક્ષોના રોપાઓ વીરપસલી સ્વરૂપે ભેટ આપવામાં આવશે.આ અનોખી પહેલ દ્વારા પર્યાવરણ જાગૃતિ સાથે કુટુંબપ્રેમ, સામાજિક જવાબદારી અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે



