
તા.૦૭.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગરબાડા તાલુકાના પાટિયા ગામે પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટિયા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત ખેડૂતો માટે તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પ્રોજેક્ટ મેનેજર ભૂરા રાહુલભાઈએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે માહિતગાર કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે રસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગને કારણે જમીનની ઉપજ ક્ષમતા ધીમે ધીમે ઘટી રહી છે. પ્રાકૃતિક ખેતી એ જમીનની ગુણવત્તા જાળવવાની સાથે ખેડૂતોના ખર્ચમાં ઘટાડો લાવતી અસરકારક પદ્ધતિ છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી પાક વધુ સ્વસ્થ અને ઝેરમુક્ત બને છે, જેના કારણે બજારમાં પણ સારો ભાવ પ્રાપ્ત થાય છે.આ પ્રસંગે ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાપસા જેવી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક ખેતી દ્વારા આરોગ્યપ્રદ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો શક્ય હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો હતો





