AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીએ સરકારી મા.શાળાનાં આચાર્યાને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી દ્વારા ભવાનદગડ ગામની સરકારી માધ્યમિક શાળાનાં ઇન્ચાર્જ મહિલા આચાર્યને માનસિક ત્રાસ આપવામા આવતો હોય એવા આક્ષેપ સાથે ઇન્ચાર્જ મહિલા આચાર્યએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં ફરિયાદ કરી છે.નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં મજીગામ ખાતે રહેતા ભાવીનીબેન રમેશચંદ્ર પટેલ ડાંગ જિલ્લાના ભવાનદગડ ગામની સરકારી માધ્યમિક શાળાના ઇન્ચાર્જ મહિલા આચાર્ય તરીકે ફરજ બજાવે છે.ત્યારે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીએ ગત તા.૧૫-૦૪-૨૦૨૪નાં રોજ આ મહિલા આચાર્યને સીઝનલ હોસ્ટેલ ચાલુ નહીં કરવા બાબતે ખુલાસા માટે તેમની ચેમ્બરમાં બોલાવેલા હતા.અને મહિલા આચાર્યને  જણાવેલું કે, સીઝનલ હોસ્ટેલ કેમ શરૂ કરવામાં આવેલ નથી,જો તમે મારો હુકમ નહીં માનશો તો હું તમારી વિરુધ્ધ પગલા ભરીશ અને તમારી નોકરી પણ જોખમમાં મુકી દઈશ.જો મારો હુકમ નહીં માનશો તો તારી માઁ હણી નાંખીશ એવી ધમકી પણ આપી હતી.વધુમાં એવી ધમકી પણ આપેલી કે, હું આર.એસ.એસ.નો માણસ છું.તમે મારું કાંઈ બગાડી લેવાના નથી, મારી ઓળખાણ ઉપર સુધીની છે એટલે હું જેમ કહું તેમ જ કરવાનું નહીં તો પરિણામ માટે તૈયાર રહેજો એવી ધમકી પણ આપેલ હતી. એવા આક્ષેપો મહિલા આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યા છે.તેમજ ઈરાદા પૂર્વક મહિલા આચાર્યને હેરાન-પરેશાન કરવાના અને માનસિક ત્રાસ આપવાના ઈરાદાથી તા.૨૧-૦૩-૨૦૨૪ ના રોજ એક ખોટી નોટીસ પરિવહન ભથ્થા બાબતે નોકરીમાંથી દૂર કરવાની જોગવાઈઓ બતાવી નોટિસ આપી હતી.જે નોટીસનો જવાબ પણ આચાર્યએ લેખિતમાં આપેલ છે.જેથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કિન્નાખોરી રાખી આચાર્ય સામે દ્વેશભાવના રાખી વારંવાર ખોટા-ખોટા મુદ્દાઓ ઉભા કરી સત્તાની વગ વાપરીને ખોટી-ખોટી નોટીસ આપતા આવેલ છે, તેવા આક્ષેપો આ મહિલા આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યા છે.વધુમાં ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી એ આ મહિલા આચાર્યનો લાજ લેવાનો બદઇરાદો પણ રાખેલ હોય તેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.ત્યારે આ સમગ્ર મામલાને લઈને ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મહિલા આચાર્યએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં અરજી કરી હતી.

 

બોક્ષ:-(1)જીગ્નેશ ત્રિવેદી-ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી.  

આ અરજી બાબતે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે,હાલમાં અરજદાર ઇન્ચાર્જ આચાર્ય ભાવિનીબેન પટેલ સામે શિસ્તભંગ તથા ઉચાપત સહિત ખાતાકીય તપાસ ચાલુ છે.તેણીએ સરકારી નાણાની ઉઠાતંરી કરેલ છે.અને ખાતાકીય તપાસ શરૂ હોય એટલે સસ્પેન્ડ પણ કરેલ છે.અહી આ શિક્ષિકા પર આરોપ સાબિત થાય તેવા હોય જેથી બિનજરૂરી નિવેદન કરી રહ્યા છે. આ શિક્ષિકા બહેને તપાસથી બચવા માટે અને સરકારને ગેરમાર્ગે દોરવા માટે તરકટ રચી મને બદનામ કરવાનું કાવતરું ઘડ્યુ છે.મે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે હંમેશા શિક્ષકોના હિતમાં કામગીરી કરી છે.પરંતુ આ શિક્ષિકાએ મને બદનામ કરવા માટે અરજી કરી હોય તેવું લાગી રહ્યુ છે.

Back to top button
error: Content is protected !!