DEVBHOOMI DWARKAKHAMBHALIYA

પ્રવર્તમાન પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અને સતર્કતાની સમીક્ષા કરતા પ્રભારી સચિવ શ્રી રાજેન્દર કુમાર

પ્રભારી સચિવશ્રીએ જિલ્લા વહીવટી તંત્રને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં સુસજ્જ રહેવા આપ્યું જરૂરી માર્ગદર્શન

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

પ્રવાસન, દેવસ્થાન મેનેજમેન્ટ, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ બોર્ડના સચિવ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજેન્દર કુમારે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી પ્રવર્તમાન પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી.

બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં આરોગ્ય, પાણી પૂરવઠો, અનાજ પુરવઠો, સ્થળાંતર માટે વાહનો તેમજ વીજ પુરવઠો સહિત પૂરતી વ્યવસ્થા અંગેની માહિતી સબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. તેમજ છેવાડા નાગરિક સુધી વહીવટી તંત્ર દ્વારા મજબૂત સંપર્ક સ્થાપિત કરવા અને વિકટ પરિસ્થિતિમાં સચોટ માહિતી વહીવટી તંત્ર તથા સરકાર સુધી કેવી રીતે પહોંચશે તે અંગે પણ સમીક્ષા કરી હતી. તમામ જિલ્લા કક્ષાની અને અન્ય કચેરીઓના કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવવા અને કોઈપણ સ્થિતિમાં માટે સુસજ્જ રહેવા જણાવ્યું હતું.

જિલ્લા પ્રભારી સચિવશ્રીને જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓની માત્રા પૂરતા પ્રમાણમાં છે, તેવું જણાવી જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

ઉપરાંત નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ કામગીરીઓ અંગે પ્રભારી સચિવશ્રીને માહિતગાર કર્યા હતા.

બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એચ.એ.જોશી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!