Rajkot: મોરબી રોડ ૫ર આશરે રૂ. ૪૦ કરોડની સરકારી જમીન ૫રથી દબાણ દૂર કરાયુ

તા.૪/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં મામલતદાર અને ટીમ દ્વારા કરાઈ કાર્યવાહી
સાડીનું કારખાનું, ૪ ઓરડીઓ, ચા-પાનની દુકાનો, ૪ રૂમ, નર્સરી સહિત ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા
Rajkot: રાજકોટ શહેરના મોરબી રોડ ૫ર ગ્રીનલેન્ડ ચોકડીથી જૂના જકાતનાકા તરફ જતાં રાજકોટ મોરબી હાઇવે ઉ૫ર આવેલ રેવન્યુ સર્વે નં. ૭૫ પૈકીની સરકારી ખરાબાની ચો.મી. ૪૦૪૭ જમીન ૫રથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરી આશરે રૂ.૪૦ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે પ્રાંત અધિકારીશ્રી ચાંદનીબેન ૫રમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ શ્રી એસ.જે.ચાવડા તથા તેમની ટીમ દ્વારા સરકારી ૫ડતર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
જેમાં વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, ૪ ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના ૪ રૂમ, નર્સરી વગેરે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરનાર સામે કાયદેસર રીતે કાર્યવાહી સતત શરૂ રહેશે તેવું મામલતદારશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યુ હતુ.
આ દબાણ હટાવમાં સર્કલ ઓફીસરશ્રી સત્યમભાઇ શેરસીયા, તલાટીશ્રી ધારાબેન વ્યાસ, આર.એમ.સી.ના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દરમ્યાન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.





