વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ : નિયમિત અને પુરા સમયની સારવાર લેવાથી ટીબી ચોક્કસ મટી શકે છે.
મુન્દ્રા, તા.23: ટીબી હારેગા, દેશ જીતેગા અભિયાન અંતર્ગત ક્ષય રોગને દેશવટો આપવાના સંકલ્પને સાકાર કરવા તથા ટીબીના છુપા દર્દીઓને શોધવા અને સક્રિય દર્દીઓ નિયમિત સારવાર લે તેવી જાગૃતિ સમાજમાં આવે એ માટે જિલ્લા ક્ષય અધિકારી ડો. મનોજ દવેએ મુન્દ્રાની બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતા ભાવિશિક્ષકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ક્ષય રોગ એ અતિ ચેપી રોગ છે, દર્દીના છીંકવા – ખાંસવાથી ક્ષયના જીવાણું હવા મારફતે ફેલાય છે. બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી તેમજ તાવ આવવો, છાતીમાં દુ:ખાવો થવો, ગળફામાં લોહી પડવું, વજન ઘટવું જેવા લક્ષણો ક્ષય રોગ હોવાનો સંકેત કરે છે. ક્ષય રોગને 2025 સુધીમાં દેશભરમાંથી નાબૂદ કરવા ‘ટીબી મુક્ત ભારત’ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત તાલુકાના તમામ ક્ષય નિવારણ કેન્દ્રોમાં ટીબીની તપાસ અને સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે એવી જાણકારી આપી હતી. આ ઉપરાંત મુન્દ્રાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખાનગી કંપનીના સહયોગથી ટીબીના નિદાન માટે અત્યાધુનિક મશીન આપવામાં આવેલ છે જેનો લાભ લેવા અપીલ કરી હતી.
વિશ્વ ટીબી દિવસને અનુલક્ષીને યોજાયેલ કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ.વી. ફફલે શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે મુન્દ્રાના સીનીયર ટીબી સુપરવાઈઝર મેઘજીભાઈ સોધમે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતુ કે નિયમિત અને પુરા સમયની સારવારથી ટીબી ચોક્કસ મટી શકે છે જે માટે વિનામૂલ્ય નિદાન અને સારવાર કરાવવા ગભરાયા વિના નિઃસંકોચપણે લોકોને આગળ આવવા જણાવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કોલેજના પ્રોફેસર ડો. દિનેશભાઇ પટેલે કરી હતી જ્યારે ડો. કૈલાશભાઈ નાંઢા, ડો. હિતેશભાઈ કગથરા, કમલાબેન કામોલ તથા ઉત્પલાબેન વૈદ્ય સહયોગી રહ્યા હતા.