માંગરોળ તાલુકાના મુક્તુપુર ગામના વતની ભાર્ગવભાઈ રમેશભાઇ ધરસેંડા કે જેમની ઉંમર માત્ર ૧૯ વર્ષ જ હતી. તેઓને GMERS હોસ્પિટલ, જૂનાગઢ ખાતે બ્રેઇન ડેડ અવસ્થામાં પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અત્રેની હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલા હતા.આવી નાજુક ઘડીએ કોઈપણ પરિવાર ઉપર દુઃખનો ભાર તૂટી પડે તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. પરંતુ ભાર્ગવભાઈના પરિવારે કઠણ હૃદયે એક મહાન નિર્ણય લેવાનું નક્કી કર્યું. મૃત્યુ પછી પણ ભાર્ગવ આજે કોઈ બીજાના પરિવારમાં દિવાળીના પર્વ નિમિતે પ્રકાશ પાથરવા જઈ રહ્યો છે. ભાર્ગવના અંગોનું દાન કરવામાં આવ્યું છે અને ભાર્ગવે જતા જતા બીજાની જિંદગી બચાવી છે.જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારશ્રીની ગાઇડલાઇન્સ અનુસાર સેકન્ડ ઓપિનિયન ટેસ્ટ કર્યા બાદ તે પોઝિટિવ આવતા ભાર્ગવભાઈના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી.ત્યારબાદ તા.૧૮/૧૦/૨૦૨૫ ના રોજ ધનતેરસના દિવસે રાજ્ય સરકારશ્રીની ગાઇડલાઇન્સ અનુસાર તેઓના લીવર, બંને કિડની, હાર્ટ તથા બંને કોર્નિયા એટલે કે આંખની કીકીનું દાન કરવામાં આવ્યું હતું. જે સીમ્સ હોસ્પિટલ, અમદાવાદ તથા ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડોક્ટરો દ્વારા અંગોને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા.ભાર્ગવભાઈના દાન કરવામાં આવેલા અંગો થકી અંદાજિત સાતેક વ્યક્તિઓને હવે નવું જીવન મળશે. ભાર્ગવભાઈના પરિવારજનોના આ ઉમદા નિર્ણય બદલ સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ પરિવાર તેમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ ઉપરાંત સમસ્ત ઘેડિયા કોળી સમાજનો પણ હૃદયપૂર્વક આ કાર્યમાં રોકાયેલા સૌએ આભાર માન્યો હતો.આ તકે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ વડા તથા પોલીસ સ્ટાફનો પણ ગ્રીન કોરિડોર બનાવવા વ્યવસ્થા કરી હતી. આ સદકાર્યને સફળ બનાવવા શ્રી ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટ, શ્રી ડો.દિગંત સિકોતરા, શ્રી ડો.કન્વી વાણિયા, શ્રી ડો.કુબાવત, શ્રી ડો.અલ્પેશ વૈષ્ણાણી, શ્રી ડો.ઝીલ બાલસ, શ્રી હેમલતાબેન પટેલ, શ્રી જાહિદભાઈ કોયડા, સુમિતભાઇ વડસરિયા, કુ.ખ્યાતિબેન ટીંબા, શ્રી ઋષિરાજભાઈ ડાંગર, તમામ લેબ સ્ટાફ, ICU, OT અને ટેક્નીકલ ટીમ, વર્ગ ૪ નો સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ તથા સિવિલ હોસ્પિટલ જૂનાગઢના પરિવારના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.આ તકે મહત્તમ લોકો અંગદાન કરે અને અંગદાન વિશે વધુને વધુ જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા બદલ જૂનાગઢની તમામ જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ