હવામાનમાં પલટો થતા કમોસમી વરસાદ સામે પંચમહાલ જિલ્લાના ખેડુતોએ તકેદારી રાખવા કરાયો અનુરોધ
ગોધરા
નિલેશકુમાર દરજી શહેરા
-મધ્ય-દક્ષિણ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી તા.૦૩/૦૩/૨૦૨૪ સુધી વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ રાખવાની થતી કાળજી માટે પંચમહાલ ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઉભા પાક જેવા કે ઘઉં, મકાઈ, ચણા, દિવેલા, તમાકુ, કપાસ, રાઈ, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક બને છે.
આ પાકોમાં પાક-જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબકકે જૈવિક નિયત્રંણ કરવુ અને જીવાતની માત્રા વધુ હોય તો રાસાણિક ખાતર નિયંત્રણ પધ્ધતિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો.વાતાવરણ બદલવાની શકયતા હોવાને લઈ ઉભા પાકમાં હાલ પુરતુ પિયત ન આપવુ.કપાસના પાકમાં વિણી બાકી હોય તો કપાસની વિણી કરાવવી.ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલાને તાડપત્રીથી વ્યવસ્થિત રીતે ઢાંકવા.ફળ પાકો/શાકભાજી પાકોને સમયસર ઉતારી બજારમાં સુરક્ષિત પહોચાડવા.વરસાદથી ખેતરમાં પાણી ભરાયેલ હોય તો તુરંત નિકાલ કરવો.તૈયાર પાકની કાપણી કરેલ હોય તો કાપણી કરેલ પાકને ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી.
ખેત સામગ્રી જેવી કે ખાતર, બિયારણ, દવા ભીંજાય નહી કે ભેજ ના લાગે તે મુજબ સુરક્ષીત ગોડાઉનમાં રાખવુ.આ સમયગાળા દરમ્યાન ઉનાળુ પાકનું નવુ વાવેતર ટાળવુ.રવિ પાકોની કાપણી હાલ પુરતી મોકુફ રાખવી.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નં.૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
***