
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ,તા-૦૮ સપ્ટેમ્બર : કચ્છમાં બે દિવસથી ભારે વરસાદના પગલે વીજ પોલ તથા ફીડરોને નુકશાન થતાં વીજ પુરવઠાને પણ અસર થઇ છે. જો કે, ચાલુ વરસાદે પીજીવીસીએલ દ્વારા યુધ્ધના ધોરણે મરંમતની કામગીરી કરવામાં આવી છે. વરસાદમાં વીજશોક કે અન્ય અકસ્માત ન ઘટે તે માટે નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે.
ભારે વરસાદના કારણે પૂર્વ કચ્છમાં ૫૬ વીજપોલને નુકશાન થયું છે. જયારે ૧૩૪ ફીડરોને અસર થતાં તત્કાલ ધોરણે હાથ ધરાયેલી મરંમત કામગીરી હેઠળ ૨૭ રીપેર કરાઇ ચૂક્યા છે. જ્યારે ૧૦૭ની કામગીરી ચાલુ છે ( જેમાં ૯૫ ખેતવાડી તથા ૧૨ જ્યોતિગ્રામ યોજના હેઠળ સમાવેશ થાય છે ) જ્યારે પશ્ચિમ કચ્છમાં ૧૧૭ અસરગ્રસ્ત ફીડરમાંથી ૬૩ રીપેર કરાયા છે જયારે ૫૪ ફીડર મરંમતની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે. ( ૫૧ ખેતીવાડી તથા ૩ જ્યોતિગ્રામ હેઠળના છે.) વરસાદના કારણે પૂર્વ કચ્છમાં ૧૮ ગામ તથા પશ્ચિમ કચ્છના ૨૦ ગામના વીજપુરવઠાને અસર પહોંચી છે. જિલ્લામાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. ભુજ ખાતે એનડીઆરએફની ટીમ તથા રાપર ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. નાગરિકોને કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ – ૦૨૮૩૨- ૨૫૦૯૨૩/૨૫૨૫૩૪૭ પર સંપર્ક કરી શકાશે.



