મુખ્યમંત્રીના નિર્દેશાનુસાર શરૂ માર્ગ મરામતના ખાસ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં યુદ્ધના ધોરણે ચાલતી માર્ગ મરામતની કામગીરી
જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ માર્ગો પર માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય)ની ૫૦ થી વધુ માણસોની ટીમો દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામ માટે ખાસ અભિયાન અમલી બનાવવામાં આવ્યું છે.
જે અંતર્ગત પંચમહાલના જિલ્લા કલેક્ટર અજય દહિયાના નેજા હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની ૫૦ થી વધુ માણસોની કુલ પાંચ ટીમો દ્વારા જિલ્લાના અગત્યના વિવિધ માર્ગો પૈકી ટીંબા-દલવાડા રોડ, ટૂવા-મહલોલ-વેજલપુર રોડ, સંતરોડ–સંતરામપુર રોડ, જ્યોતી સર્કલથી દુનિયા રોડ અને હાલોલ-અરાદ-પરોલી રોડ પર મેન્યુઅલ બી.યુ.એસ.જી., કોન્ક્રીટ પેચવર્કની કામગીરી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પંચમહાલના જિલ્લા કલેક્ટર
અજય દહિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાભરમાં માર્ગ સુધારણા અને રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી પૂર્ણ કરી નાગરિકોને સુરક્ષિત રસ્તાઓ પૂરા પાડવાના હેતુ સાથે અત્યાર સુધીમાં વરસાદથી રસ્તા પર થયેલ ખાડાઓને મેટલ પેચવર્ક અને ડામર પેચવર્કથી ભરવાની કામગીરી અને નવા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.






