સોમનાથ મંદિર નજીક ગટરના પાણી રસ્તા પર ભરાયા, યાત્રિકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર

વેરાવળ પાલિકાતંત્રની બેદરકારીના કારણે યાત્રિકો પરેશાન: સોમનાથ મંદિર નજીક ગટરના પાણી રસ્તા પર ભરાયા, યાત્રિકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. મંદિરથી સાગર દર્શન તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળતાં યાત્રિકોને ગંદા પાણીમાંથી પસાર થઈ મંદિર તરફ જવાની ફરજ પડતા યાત્રિકોમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે.વેરાવળ પાલિકા તંત્ર પ્રતિમાસ સફાઈ પાછળ એક કરોડ જેવી માતબર રકમનો ખર્ચ કરે છે, પરંતુ વેરાવળ પાટણ જોડીયા શહેરમાં ચારે તરફ છાશવારે ગંદકી જોવા મળે છે. તીર્થ નગરી સોમનાથના નાગરિકો તો પાલિકા તંત્રથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ હવે તો દેશ વિદેશ થી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રિકો પણ પાલિકા તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે.
વેરાવળ પાટણ શહેરમાં જોવા મળતી ગંદકી યાત્રાધામ સોમનાથ નજીક પણ જોવા મળી રહી છે. સોમનાથ મંદિરની તદ્દન નજીક સાગર દર્શન તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ગટરના ગંદા પાણી ફરી વળતાં દેશ-વિદેશથી આવતાં યાત્રિકોને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી અને જેને લઇ યાત્રિકોની ધાર્મિક લાગણી પણ દુભાતી હોય તેવું જોવા મળ્યું હતું.સોમનાથ મંદિર નજીક ગટરો ઉભરાવાની ઘટનાઓ છાશવારે બનતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. પાલિકા તંત્રની આ ગંભીર બેદરકારીના કારણે દેશ-વિદેશથી આવતાં યાત્રિકો વેરાવળ સોમનાથ જોડીયા શહેરની ગંદી છાપ લઈ જઈ રહ્યા છે. ત્યારે પાલિકા તંત્રના સત્તાધીશોએ સોમનાથ મંદિર નજીકની આ ગંદકીનો કાયમી ઉકેલ લાવવો જોઈએ તેવી પ્રબળ લોકમાગ ઉઠી રહી છે.
વાત્સલ્ય સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ





