ડાયાબિટીસ સામે ગુજરાત સરકારનો મજબૂત લડત: અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧.૯ કરોડના ઇન્સ્યુલિન અને ૭૮ લાખના ગ્રોથ હોર્મોન ઇન્જેક્શન નિશુલ્ક વિતરણ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ (બિનચેપી રોગો) સામે અભૂતપૂર્વ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે છેલ્લા એક વર્ષ દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસથી પીડાતા 25,348થી વધુ દર્દીઓને અંદાજે 1.9 કરોડ રૂપિયાના ઇન્સ્યુલિન ઇન્જેક્શનો સંપૂર્ણપણે નિશુલ્ક આપવામાં આવ્યા છે. સાથે જ 411 જેટલા બાળદર્દીઓને, જેમને ગ્રોથ હોર્મોનની તીવ્ર જરૂર હતી, તેમને પણ કુલ અંદાજે 78 લાખ રૂપિયાના ગ્રોથ હોર્મોન ઇન્જેક્શન વિતરણ કરાયા છે.
આ માહિતી સિવિલ હોસ્પિટલ અમદાવાદના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લાઇફસ્ટાઇલ રોગો જેવા કે બ્લડપ્રેશર અને ડાયાબિટીસના ઝડપી નિદાન અને સારવાર માટે દરેક શુક્રવારે બિનચેપી રોગ નિદાન કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પીએચસીથી લઈને મેડિકલ કોલેજો સુધી તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્ક્રીનિંગ દ્વારા રોગની વહેલી ઓળખ અને નિદાન થઈ શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ડૉ. જોષી જણાવે છે કે, ડાયાબિટીસ દર્દીઓ માટે ઇન્સ્યુલિન જીવનરક્ષક હોય છે, પરંતુ ઘણીવાર તેની કિંમત સામાન્ય અને ગરીબ વર્ગના દર્દીઓ માટે અઘરી પડતી હોય છે. આવા દર્દીઓને રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવેલી નિશુલ્ક ઇન્સ્યુલિન સેવા એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે. નિયમિત ઇન્સ્યુલિનના અભાવે આ પ્રકારના દર્દીઓને કિડની, આંખો કે હૃદયને લગતા ગંભીર સંકટો સર્જાઈ શકે છે.
સાથે જ, જન્મજાત અથવા પ્રસુતિ દરમિયાન મગજને થયેલા નુકસાનના કારણે કે ગ્રોથ હોર્મોન ન બનતા બાળકો માટે પણ રાજ્ય સરકાર તરફથી ખાસ યોજના અમલમાં રાખવામાં આવી છે. આવા બાળકોમાં શરીર અને મગજનો વિકાસ અટકી જવાની ભીતિ રહેતી હોય છે. ગ્રોથ હોર્મોન ઇન્જેક્શન તેમને શારીરિક વિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
આ રીતે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે રોગ નિવારણ સાથે સાથે દર્દીઓના જીવનમૂલ્યમાં પણ સુધાર લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આગામી સમયમાં વધુ વિસ્તૃત સ્તરે સ્ક્રીનિંગ અને સારવાર કાર્યક્રમો હાથ ધરવાની યોજના પણ રાજ્ય સરકારે બનાવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગની આ કામગીરી માત્ર આરોગ્યસૂચક સફળતા નથી, પણ ગરીબ અને જરૂરિયાતમંદ માટે મજબૂત સહારે રૂપે પણ ઉપસી છે. સરકારી આરોગ્ય નીતિઓમાં આવી દર્દીકક્ષાની સંવેદનશીલતા ભવિષ્યમાં પણ આરોગ્યક્ષેત્રે અસરકારક પરિણામો લાવશે, તેવી આશા છે.