આણંદ મહાનગરપાલિકા હરકતમાં: 10 થી વધુ ટીમો દ્વારા હાથ ધરાઈ સઘન સફાઈ ઝુંબેશ

આણંદ મહાનગરપાલિકા હરકતમાં: 10 થી વધુ ટીમો દ્વારા હાથ ધરાઈ સઘન સફાઈ ઝુંબેશ
તાહિર મેમણ – આણંદ – 26/07/2026 – આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લેતાની સાથે જ મહાનગરપાલિકા કમિશનર શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
વરસાદી પાણી ઓસરતા જ મનપાની 10 થી વધુ ટીમોને યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારો, મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં ફરીને સાફ-સફાઈ તેમજ કચરો ઉપાડવાની કામગીરી 17 જેટલા ટ્રેક્ટરના માધ્યમથી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
સઘન સફાઈ ઝુંબેશના ભાગરૂપે મહાનગરપાલિકાની ટીમો દ્વારા માત્ર એક જ દિવસમાં શહેરના જુદા જુદા ભાગોમાંથી અંદાજે 17 ટન જેટલો કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. ખાસ કરીને સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો પ્રવાહ નીકળી ગયા બાદ એકઠા થયેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાને એકઠો કરીને સુરક્ષિત રીતે લેન્ડફિલ સાઈટ પર નિકાલ અર્થે મોકલી આપવામાં આવ્યો છે.
રોગચાળો ન ફેલાય અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે કચરો સાફ કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં જંતુનાશક દવાઓ અને પાવડરનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વરસાદી માહોલ પૂર્ણ થયા બાદ પણ શહેરના તમામ વિસ્તારો સંપૂર્ણપણે સ્વચ્છ ન થાય ત્યાં સુધી આ સ્વચ્છતા ઝુંબેશ સતત કાર્યરત રહેશે.
મહાનગરપાલિકા કમિશનર શ્રી દ્વારા નગરજનોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ કચરો ગમે ત્યાં કે ખુલ્લામાં ન ફેંકતા મનપાની કચરાગાડીમાં જ નાખે. મહાનગરને સ્વચ્છ, સુંદર અને રોગચાળા મુક્ત રાખવામાં દરેક નગરજન પોતાનું સક્રિય યોગદાન આપે તે અત્યંત જરૂરી છે.





