સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર-હાંસોટ રોડ પર એશિયાડ નગર નજીક માર્ગ પર ઉભેલા JCB મશીન સાથે બાઈકચાલક ધડાકાભેર ભટકાતા બાઈકસવાર યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું. અંકલેશ્વર રોડ ઉપર આવેલ એશિયાડ નગર નજીકના હનુમાન મંદિર પાસે નગર સેવાસદનની ગટર લાઈનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગત રાત્રીના સમયે JCB ચાલકે ખોદકામ કરી JCB મશીન બેદરકરીપૂર્વક મુખ્ય માર્ગ પર જ ઉભું રાખી દીધું હતું. આ દરમિયાન અંકલેશ્વરની જનક વાટિકા સોસાયટીમાં રહેતો 28 વર્ષેય નિકુંજ ઠાકોરભાઈ પટેલ તેની બાઇક નંબર GJ-16-CE-8729 લઈ ત્યાંથી પસાર થઈ તેના ઘરે જઈ રહ્યો હતો.
રાત્રિના અંધારામાં JCB નજરે ન પડતા બાઈકચાલક JCB મશીન સાથે ધડાકાભેર ભટકાયો હતો અને સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજાના પગલે નિકુંજ પટેલનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. JCB ચાલકે બેદરકારી પૂર્વક મશીન મુખ્ય માર્ગ પર જ ઉભું કરી દેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે પોલીસે JCBના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.