સીમાસી અને દિવરાણા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા. ૨૧, રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી અને માર્ગદર્શન આપવા આત્મા પ્રોજેક્ટના વિવિધ માધ્યમો દ્વારા કાર્ય કરી રહ્યુ છે. રાજ્યના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરે અને તેમનો ખેતી ખર્ચ ઘટે તેમજ જમીનની ફળદ્રુપતા અને સમગ્ર જીવસૃષ્ટિનું આરોગ્ય જળવાઈ રહે તેમજ પર્યાવરણમાં પણ સંતુલન બની રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રાકૃતિક કૃષિ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા મેંદરડા તાલુકાના સીમાસી ગામ તથા માંગરોળ તાલુકાના દિવરાણા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ અન્વયે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક કૃષિની આપણે કેમ જરૂર પડી અને તેનાથી થતા ફાયદા બાબતે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ ખરીફ પાકોમાં શા માટે આજના સમયની જરૂરિયાત છે, જમીનની ફળદ્રુપતામાં પ્રાકૃતિક કૃષિનો ફાળો, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાનાં ઉપાયો, પર્યાવરણનું જતન, ઉપરાંત દેશી ગાયના છાણ અને ગૌમુત્ર દ્વારા જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ તથા તેની ઉપયોગીતા અને ફાયદાઓ વિશે નું માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી દિપક રાઠોડ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર એસ.કે.પરમાર તથા કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનાં વૈજ્ઞાનિકશ્રીઓ હાજર રહી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું, તથા મહિલા અને બાળવિકાસ શાખાના અધિકારીશ્રી દ્વારા મહિલાઓના અધિકારો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી, અને મહિલા ખેડૂતો સૌથી વધારેને વધારે પ્રાકૃતિક કૃષિ કરે અને આપણા એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરે તે બાબતે જણાવ્યું હતું.





