૧૭-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
રંગ કલા કૌશલ્ય ધારા અંતર્ગત દાંડિયા, આરતીની થાળી અને ગરબા સજાવટની સ્પર્ધાનું આયોજન કરાયું
મુન્દ્રા કચ્છ :- હાલ સર્વત્ર નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છની શાળા-કોલેજોમાં પણ વિવિધ આયોજનો થઇ રહ્યા છે ત્યારે મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજ ખાતે આચાર્ય ડો. એલ. વી. ફફલના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની રંગ કલા કૌશલ્ય ધારા અંતર્ગત તાલીમાર્થીઓમાં ક્લાત્મકતા અને સર્જનાત્મકતાના ગુણો વિકસે તેવા ઉદ્દેશ સાથે દાંડિયા, આરતીની થાળી અને ગરબા સજાવટની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગરબાનેે વિવિધ થીમ સાથે શણગારવાની સાથે દીવો પ્રગટાવવાના કોડિયાને પણ ભાતભાતના રંગો પુરી આકર્ષક બનાવવામાં આવ્યા હતા. તેમજ માની આરાધના કરવા માટે આરતીની થાળીને ધર વપરાશના ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કંકુ, ચોખા, અબીલ-ગુલાલ અને સૂકા મેવાનો ઉપયોગ કરી વિશેષ રીતે સજાવટ કરવામાં આવી હતી. ઉપરાંત રાસ રમવા માટેના દાંડિયાને પણ વિવિધ રીતે શણગારી આકર્ષક બનાવવામાં આવ્યા હતા.ખરેખર નવરાત્રિએ શક્તિ ઉપાસનાના દિવસો છે ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનશક્તિ બહાર લાવવાનું ઉમદા કાર્ય કરનાર મુન્દ્રાની બી. એડ. કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડો. દીપકભાઈ પંડ્યાએ સ્પર્ધામાં ભાગ લેનાર 106 વિદ્યાર્થીઓને રંગકલા અને સુશોભન સ્કીલ અંગેનું માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે કોલેજના પ્રાધ્યાપક કમળાબેન કામોલ તથા ડો. દિનેશભાઇ પટેલે સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના અધ્યાપકો અને તાલીમાર્થીઓ સહયોગી રહ્યા હતા.