
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૨૩ જુલાઈ : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં રોડ રસ્તાના રીપેરીંગ સાથે કેટલાંક ભયજનક બ્રીજ બંધ કરવામાં આવ્યા છે તો સાથે જ નવા બ્રીજના નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.કચ્છના અબડાસા તાલુકામાં તેરા પાસે આવેલા લાખણીયા મેજર બ્રીજના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. હાલમાં બ્રીજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોય આવનારા દિવસોમાં વાહનચાલકો આ નવીન બ્રીજનો ઉપયોગ કરી શકશે. લાખણિયા બ્રીજ નિર્માણ માટે ક્રેઈન સહિત વિવિધ મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વરસાદી સિઝનમાં ખાસ કરીને કોઈપણ ગામ સંપર્કવિહોણું બને નહીં તે ઉદેશથી કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ બ્રીજ/પુલના કામને મંજૂરી આપવામાં આવી છે. આવનારા દિવસોમાં ભયજનક હોય તેવા બ્રીજને તોડીને તેની જગ્યાએ નવા બ્રીજના નિર્માણ માટેની કામગીરી શરૂ કરાશે.. હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનચાલકોને વહેલીતકે નવા બ્રીજની સુવિધા મળે તે હેતુથી ઝડપભેર કામગીરી કરવામાં આવી રહી છે.






