
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
પ્રાકૃતિક ખેતીમાં મલ્ચિંગનું મહત્વ–જાણો મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરવાથી શું થાય છે લાભ
મલ્ચિંગ એટલે કે છોડના મૂળની આસપાસ જમીન પર ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પાક સાથે જમીનનું સંરક્ષણ.
કૃષિ ક્ષેત્રે ખેડૂતો નવી ટેક્નોલોજી અપનાવી રહ્યા છે. જેની મદદથી તેઓ મબલખ ઉત્પાદનની સાથે તગડી કમાણી પણ કરી રહ્યા છે. હાલ રાજ્યમાં ઘણા ખેડૂતોએ મલ્ચિંગ નામની પદ્ધતિ અપનાવી છે, જેના અનેક લાભો મેળવીને કૃષિને એક નવી દિશા આપી રહ્યાં છે, એમ કહીએ તો ખોટું નથી. મોંઘાદાટ બિયારણ, ખાતર અને મજુરોની અછતો વચ્ચે ખેડૂતો મલ્ચિંગ પદ્ધતિને અપનાવી ખેતીનું ઉત્પાદન સારામાં સારું મેળવી રહ્યાં છે.
મલ્ચિંગ એટલે શું ?
મલ્ચિંગ એટલે કે છોડના મૂળની આસપાસ જમીન પર ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પાક સાથે જમીનનું સંરક્ષણ. જમીન પર આવું એક પ્રાકૃતિક આવરણ બનાવી જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી શકાય છે સાથે સૂક્ષ્મ સજીવો માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરી શકાય છે અને નીંદણનું પણ નિયંત્રણ થઈ જાય છે.
મલ્ચિંગ પદ્ધતિને પરિણામે અન્ય રીતેની સરખામણીમાં વધુ ઉત્પાદન મળી રહે છે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં આ મલ્ચિંગ પદ્ધતિ જુના ઢબની પદ્ધતિને નવારૂપમાં અપનાવીને અનેક લાભો મેળવી શકાય તેમ છે. વહેલુ અને વધુ ઉત્પાદન, જીવાતોથી મૂક્તિ જેવા અનેક ફાયદાઓની સાથે અપનાવતી આ મલ્ચિંગ પદ્ધતિ મોંઘવારીના યુગમાં ખેડૂતો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. વેલાવાળા શાકભાજી કે મરચા, રગિણ જેવા પાકોમાં સફળ રહેલી આ મલ્ચિંગ પદ્ધતિ ઘીરેધીરે ખેડૂત આલમમાં સફળતાનો પગપેસારો કરી રહ્યાં છે.
મલ્ચિંગ પદ્ધતિના લાભ
શાકભાજીના પાકોમાં નિંદામણથી મુક્તિ, નિંદામણ ખર્ચનો બચાવ પાણીનો વ્યય અટકે ઓછા પાણીમાં શાકભાજીના પાકોનું વધુ ઉત્પાદન, રોપાણી બાદ ઉત્પાદનનો સમયગાળો વહેલો, મજુરી ખર્ચમાં ફાયદો, બીજ અંકુરણની ક્રિયા ઝડપી અને રોપણી બાદ શરૂઆતના તબક્કામાં જીવતો કે રોગ લાગવાની શક્યતા નહીંવત રહે છે.
અરવલ્લી જિલ્લાના ખેડૂતો વર્ષોથી આ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાના પાકને પોષણયુક્ત અને નિંદામણ રહિત બનાવે છે. આ માટે અરવલ્લીના મેઘરજ તાલુકાના બેડક ગામના ઈશ્વરભાઈ ખરાડી જણાવે છે કે તેઓ વર્ષોથી તેમના ખેતરમાં રતાળા, અળવી જેવા કંદમૂળનું વાવેતર કરે છે. વાવણી બાદ તેઓ તેમની વાવણીની જગ્યા પર ખાખરાના સૂકા પાનનું આવરણ પાથરી દે છે. જે દેશી રીતે મલ્ચિંગનું કામ કરે છે.




