
વિજાપુર વસાઇ કનારીપુરામાં હરિયાળીની હાકલ: ‘એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસાઈ ગામના કનારીપુરા વિસ્તારમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ જાળવણી અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ વૃક્ષો વાવી પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.
કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવતા નથી, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ જીવન આપવાનો આધાર પણ છે.
આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, જિલ્લા સભ્ય રાજેશભાઈ પટેલ, તાલુકા સભ્ય નીતાબેન પટેલ, પૂર્વ તાલુકા સભ્ય રમેશજી ચાવડા, 25 ગામ કડવા પાટીદાર ક્રેડિટ સોસાયટીના ચેરમેન કનુભાઈ પટેલ, વસાઈ ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતાં વૃક્ષારોપણ સાથે વૃક્ષોના સંવર્ધન અને જતનની પ્રતિજ્ઞા પણ લેવાઈ હતી. સમગ્ર કાર્યક્રમ હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




