અંકલેશ્વરના પરિવારને કુંભ મેળામાંથી પરત ફરતા નડ્યો અકસ્માત:ચાલકને ઝોકું આવી જતાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર નજીક કાર પલટી, દંપતીનું મોત, 4 ઈજાગ્રસ્ત
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના રાધાકૃષ્ણ ફૅબ્રિક એન્જીનીયરીંગના સંચાલક નરેશ શર્મા અને તેમના પરિવારને પ્રયાગરાજ મહાકુંભના દર્શન કરીને પરત ફરતી વખતે ગંભીર અકસ્માત નડ્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંદસૌર નજીક કાર ચાલકને ઝોકું આવી જતાં કાર પલટી મારી ગઈ હતી.
40 વર્ષીય નરેશ શર્માનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના 35 વર્ષીય પત્ની મીના શર્માએ હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધા હતા. અકસ્માતમાં દંપતીનો 14 વર્ષીય પુત્ર આયુષ, પુત્રી મયુરી અને ધ્રુવી તેમજ કારચાલક આદિત્યને ગંભીર ઈજાઓ થતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
શર્મા પરિવાર પ્રયાગરાજ મહાકુંભમાં ધાર્મિક દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે, આ કરુણ ઘટના બની હતી. અકસ્માતની જાણ અંકલેશ્વર પંથકમાં થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.