GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:જલારામ જયંતિ નિમિત્તે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી

 

MORBI:જલારામ જયંતિ નિમિત્તે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી

 

 

ગંગાઘાટ જેવી મહાઆરતીએ સર્જ્યો ભક્તિમય માહોલ

શહેરમાં પૂ. જલારામ બાપાના નામથી મોરબી ગુંજ્યુ

મોરબી : પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે મોરબી શહેરમાં ભક્તિ અને આનંદનો અવિસ્મરણીય ઉત્સવ જોવા મળ્યો. શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રાએ સમગ્ર શહેરને જલારામમય બનાવી દીધું હતું.

શોભાયાત્રાનો શુભારંભ દરિયાલાલ પ્રભુજીના મંદિરથી ધ્વજારોહણ અને આરતી સાથે થયો હતો. ત્યારબાદ નહેરુ ગેઇટ ચોક, શાકમાર્કેટ, ગાંધીચોક, વસંતપ્લોટ, રવાપર રોડ, બાપા સિતારામ ચોક, નવા બસસ્ટેન્ડ અને સરદારબાગ સહીતના વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા વિરાજમાન થઈ હતી. શહેરના દરેક ખૂણેથી બાપાના ભક્તો ભક્તિભાવથી ઉમટી પડ્યા હતા.

શોભાયાત્રા દરમિયાન પૂજ્ય જલારામ બાપાના સુંદર રથ સાથે નાસિક ઢોલ, ડી.જે., વિવિધ ધાર્મિક ફ્લોટ્સ, આતશબાજી અને લાઈવ પ્રસાદ વિતરણ જેવા અનેક આકર્ષણો ઉમેરાયા હતા. બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂજ્ય જલારામ બાપા તથા વીરબાઈ માતાના વેશભૂષા ધારણ કરી ભક્તિભાવનો અદ્ભુત સંદેશ આપ્યો હતો.

શહેરના નગર દરવાજા ચોક અને નવા બસ સ્ટેશન ખાતે યોજાયેલી આતશબાજીથી આકાશ ઝળહળ થઈ ઉઠ્યું હતું, જ્યારે બાપા સિતારામ ચોક ખાતે ગંગાઘાટ જેવી ભવ્ય મહાઆરતી યોજાઇ હતી — જ્યાં હજારો ભક્તોએ એકસાથે આરતી ઉતારી ત્યારે સમગ્ર માહોલ ‘જય જલારામ’ના જયઘોષોથી ગુંજી ઉઠ્યો હતો.

સરદારબાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા કરવામાં આવેલી આરતીએ સૌના હૃદયને સ્પર્શી લીધા હતા. તે સાથે જ શોભાયાત્રા સમિતિ દ્વારા ઘરે ઘરેથી એકત્ર કરાયેલ રોટલાનું વિતરણ કરવામાં આવ્યું હતું — જે જલારામ બાપાના ‘દાન અને સેવા’ના ઉપદેશને જીવંત કરતું પ્રતીક હતું.

મોરબીના મુખ્ય વેપારીઓ, સામાજિક આગેવાનો, યુવક મંડળો તથા ભક્તજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પૂજ્ય જલારામ બાપાના ભક્તિગીતો અને સ્તોત્રોના સ્વરોથી આખું શહેર ભક્તિમય બની ગયું હતું.

આ ભવ્ય શોભાયાત્રાએ માત્ર મોરબી નહિ પરંતુ સમગ્ર વિસ્તારના ભક્તોના હૃદયમાં જલારામ બાપાના આશીર્વાદની ઝંખના ફરી પ્રગટાવી છે. ખરેખર, આ દિવસ મોરબી માટે “ભક્તિનો ઉત્સવ” અને “સેવાનો સંદેશ” બની રહ્યો હતો.
રીપોર્ટ મોહસીન શેખ દ્વારા

Back to top button
error: Content is protected !!