અમદાવાદ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા વિશ્વ મચ્છર દિવસની ઉજવણી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : દર વર્ષે 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ ઉજવવામાં આવે છે. આ અવસર પર અમદાવાદ જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મોટા પાયે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. જિલ્લામાં આવેલા 42 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 215 સબ સેન્ટરોના માધ્યમથી કુલ 462 જેટલા ગામોમાં વિશાળ સ્તરે વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમોનો મુખ્ય હેતુ મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. આ માટે વિવિધ ગામોમાં ગ્રુપ ચર્ચાઓ, શાળાઓમાં બાળકોને ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ અને પ્રદર્શન દ્વારા મચ્છરથી થતા રોગો તથા તેમની બચાવની રીતોની સમજ આપવામાં આવી.
જાહેર જાગૃતિ અભિયાન દરમિયાન ઘણા તળાવો અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ગપ્પી માછલી મૂકવામાં આવી. ગપ્પી માછલીઓ મચ્છરના લાર્વા ખાઈને તેમના પ્રજનનને અટકાવે છે, જેના કારણે મચ્છરજન્ય રોગોનું જોખમ ઓછું થાય છે. આ માટે નવી હેચરીઓ પણ ઉભી કરવામાં આવી છે.
ખાસ કરીને શાળાના બાળકો માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ. કેટલીક જગ્યાએ બાળકોએ “હું મચ્છર છું” અને “હું ગપ્પી માછલી છું” જેવા પાત્રો ભજવી નાટ્ય સ્વરૂપે સમજાવ્યું કે મચ્છર કેવી રીતે રોગ ફેલાવે છે અને ગપ્પી માછલી તેના સામે કેવી રીતે રક્ષણ આપે છે. આ અનોખી રજૂઆતોને કારણે બાળકોને સરળ અને રસપ્રદ રીતે વૈજ્ઞાનિક માહિતી મળી.
જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે મચ્છરજન્ય રોગોથી બચવા માટે માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ દરેક નાગરિકે પોતાના આસપાસ સ્વચ્છતા જાળવવી, પાણી ભરાવા ન દેવું અને વ્યક્તિગત સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે. લોકોમાં જેટલી વધુ જાગૃતિ ફેલાશે, તેટલો મચ્છરજન્ય રોગો પર કાબૂ મેળવવો સરળ બનશે.
આમ, વિશ્વ મચ્છર દિવસના અવસર પર જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમો માત્ર ઉજવણી પૂરતા ન રહી, પરંતુ લોકોમાં પ્રાયોગિક જ્ઞાન, જાગૃતિ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જવાબદારી વધારવાના દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થયા.









