પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ મોરબી જિલ્લાના ઉદ્યોગપતિઓ આયોજિત ઓપન હાઉસમાં ભાગ લીધો
ઉદ્યોગોના ૩૬ પ્રશ્નો રજૂ કરાયા; નિરાકરણની પ્રભારી મંત્રીશ્રીની ખાતરી

મોરબી તા. ૫ ફેબ્રુઆરી, ગુજરાતના રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રીશ્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા યોજાઇ હતી. ઉદ્યોગોના ૧૧ વિભાગના ૩૬ પ્રશ્નો રજૂ કરાયા હતા.
જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ઉધોગપતિઓ, ઉધોગગૃહના પ્રતિનિધિઓને કહ્યું હતું કે ગુજરાતના વિકાસમાં મોરબીના ઉદ્યોગનું મહત્વનું યોગદાન છે. ત્યારે કોઈ પણ જિલ્લાના ઉધોગગૃહના વિવિધ સ્થાનિક, વહીવટી કે રાજ્યકક્ષાના પ્રશ્નો જાણી તેમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આવે તેમજ આ બાબતે સમયાંતરે સમીક્ષા કરવામાં આવે તેવુ રાજ્ય સરકારનું વિઝન છે.
મંત્રીશ્રી વધુમાં કહ્યું હતું કે, મોરબી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકારનો અભિગમ સકારાત્મક છે એટલે જ મોરબીને મહાનગર પાલિકા અને ટંકારાને નગરપાલિકા બનાવી છે ત્યારે ઉધોગોના વધુ વેગ માટે તેમજ મૂંઝવતા પ્રશ્નો માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે. નીતિ વિષયક સિવાયના પ્રશ્નોના નિરાકરણની મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી કે. બી. ઝવેરીએ ઉધોગપતિઓ, ઉધોગગૃહના પ્રતિનિધિઓ ને આવકારીને ઓપન હાઉસનો હેતુ જણાવતા કહ્યું હતું કે ઉધોગગૃહના પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર પૂરતો સહયોગ આપશે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધી, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, કલેક્ટરશ્રી કે. બી. ઝવેરી, મ્યુ. કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, પોલિસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઠવી, અધિક નિવાસી કલેક્ટરશ્રી એસ. જે. ખાચર, જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી એસ.બી. પારેજિયા સહિતના સબંધિત અધિકારીઓ, ઉધોગપતિઓ, ઉધોગગૃહના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.













