DAHODDAHOD CITY / TALUKO

દાહોદ જિલ્લામાં કરોડોનું મનરેગા કૌભાંડ આવ્યું બહાર, 35 એજન્સીઓ સામે નોંધાયો ગુનો

દાહોદ જિલ્લામાં નકલી એન.એ. જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે. આ ગેરરીતિનો આંકડો 71 કરોડ રૂપિયાથી વધુનો થાય છે. આ મામલે શુક્રવારે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધાનપુર અને દેવગઢ બારીયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

દેવગઢબારિયા તાલુકાના કૂવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં માટી મેટલ રોડ, સીસી રોડ, ચેક વોલ, સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું છે. આ કામોનું કમ્પ્લિટિશન સર્ટી રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ હતો તેને બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરી દેવામાં આવી છે. જે એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી છે તે એવી એજન્સીઓ છે જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો.

આ જન કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવણી કરવાના કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત છે. આ કૌભાંડ અંગે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વર્ષ 2021 થી 2024 દરમિયાન મનરેગાના કામોમાં મટિરિયલ પૂરૂં પાડનારી એજન્સીઓ જિલ્લા પંચાયત પાસે 160 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. આ બાકી નીકળતી રકમ તત્કાલીન ડીડીઓ રચિત રાજ તેમજ નેહા કુમારીના કાર્યકાળની છે. પરંતુ આ બાકી નીકળતી રકમમાં નવનિયુક્ત ડીડીઓ દ્વારા પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. કારણકે મટિરિયલના કામોમાં જે તે સમયે ગેરરીતિ આચરી હોવાનું સ્થળ ચકાસણી તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સામે આવ્યું છે.

મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના 60.90 કરોડ રૂપિયા તેમજ ધાનપુરના10.10 કરોડ રૂપિયા મળી કુલ 71 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ રકમ માત્ર બે તાલુકા પુરતી છે. સમગ્ર જિલ્લાભરમાં મનરેગાના કામોની સ્થળ ચકાસણી અને મંજુર થયેલા બિલોની સરખામણી કરવામાં આવે તો આ કૌભાંડનો આંકડો કેટલો પહોંચે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ કૌભાંડ સામૂહિક યોજનાનું હોવાથી પોલીસે પંચાયતના મનરેગાના નિયુક્ત કરેલા અધિકારીઓ સાથે સંપર્કમાં રહી કામ કરવા SITની રચના કરી છે એટલે સમગ્ર જિલ્લામાં આચરવામાં આવેલા કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે.

પોલીસે માલ સપ્લાય કરતી દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુરની 7 મળી 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ એજન્સીઓએ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ નહોતો લીધો. છતાં સરકારી બાબુઓએ કોના ઇશારે આ એજન્સીઓને નાણા ચુકવ્યા તે મોટો પ્રશ્ન છે. એજન્સીઓની યાદી જોતા એવી ચર્ચા થઈ રહી છે કે આ સમગ્ર કૌભાંડમાં રાજ્યના એક મંત્રીના પુત્રોની સંડોવણી છે. પોલીસ હવે કેટલી નિષ્પક્ષ બનીને તપાસ કરે છે તે જોવાનું રહ્યું.

Back to top button
error: Content is protected !!