MORBI: મોરબી આચારસંહિતાના અમલ માટે કેબલ નેટવર્ક, રેડિયો અને સિનેમાગૃહોએ પ્રસારિત સામગ્રીની સીડી (CD) જમા કરાવવી પડશે

MORBI: મોરબી આચારસંહિતાના અમલ માટે કેબલ નેટવર્ક, રેડિયો અને સિનેમાગૃહોએ પ્રસારિત સામગ્રીની સીડી (CD) જમા કરાવવી પડશે
ચૂંટણીલક્ષી પ્રસારણની સીડી દરરોજ સવારે ૧૦:૩૦ કલાક સુધીમાં નિવાસી અધિક કલેક્ટર કચેરીએ રજૂ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનો આદેશ
સ્થાનિક ચેનલો, એફ.એમ. રેડિયો અને દૂરદર્શન કેન્દ્રોએ આદેશનું ચુસ્ત પાલન કરવાનું રહેશે
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ થનાર મતગણતરી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી (IAS) દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ હુકમ અનુસાર, જિલ્લામાં કાર્યરત સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલો, સિનેમાગૃહો, AM તથા FM રેડિયો સ્ટેશનો, દૂરદર્શન અને આકાશવાણી કેન્દ્રોએ પ્રત્યેક દિવસે સવારના ૦૬:૦૦ કલાકથી બીજા દિવસે સવારના ૦૬:૦૦ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા પ્રત્યેક પ્રસારણની સીડી (CD) બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી, મોરબીની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડવાની રહેશે. આ જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રાજકીય પક્ષો, ઉમેદવારો કે તેમના ટેકેદારો દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી કરવામાં આવતા પ્રચાર અને જાહેરાતો પર સતત દેખરેખ રાખી શકાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રસારણકર્તાઓએ સીડી જમા કરાવ્યા બદલની પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવાની રહેશે. વધુમાં, જો વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતના પ્રસંગે ૨૪ કલાક પૂર્ણ થતા પહેલા પણ પ્રસારણની વિગતો માંગવામાં આવે, તો તે તાત્કાલિક રજૂ કરવાની રહેશે.
આ પ્રતિબંધાત્મક હુકમ તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં અમલમાં રહેશે. જો કોઈ સંસ્થા કે જવાબદાર વ્યક્તિ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.









