GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખેડ, ખેતર અને પાણી સમૃદ્ધી લાવે તાણી; પ્રાકૃતિક ખેતીમાં પાણીનું પૃથક્કરણ મહત્વનું પરિબળ

MORBI:મોરબી ખેડ, ખેતર અને પાણી સમૃદ્ધી લાવે તાણી; પ્રાકૃતિક ખેતીમાં પાણીનું પૃથક્કરણ મહત્વનું પરિબળ

 

 

જમીન સાથે પાણીનો યોગ્ય મેળ જરૂરી; આપણી જમીન સાથે પાણીનું પૃથક્કરણ અવશ્ય કરાવીએ

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન અને સહાય મળી રહે તથા વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવા કુદરતી તત્વોની સાથે જમીનનો પ્રકાર અને પાણીની ગુણવત્તા પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

જૂની કહેવત છે કે, ખેડ, ખેતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી. ત્યારે ખેતીમાં જમીન અને પાણી પાયાના અંગ છે, કારણ કે ખેત પેદાશ કેટલી આવશે તેનો આધાર મહદ્અંશે જમીન અને પાણીની ગુણવત્તા પર રહેલો છે. પિયત એક અગત્યનું પરિબળ છે, જો પાણીની પૂરતી સગવડતા હોય તો ખેડૂત ધાર્યું ઉત્પાદન મેળવી આર્થિક રીતે વધુ ફાયદો મેળવી શકે છે. પરંતુ આ માટે જમીન અને પાણીનો મેળ હોવો ખૂબ જરૂરી છે. જો પાણી જમીને અનુકૂળ ન હોય તો જમીન બગાડવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. જેથી પિયતના પાણીનું પૃથક્કરણ કરાવી તેના અહેવાલમાં કરવામાં આવેલી ભલામણ મુજબ પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરવો હિતાવહ છે.

 

તો જાણીએ કે, પાણીના પૃથક્કરણની જરૂરિયાત શા માટે છે: ખેતીમાં પિયત માટે પાણી અનુકૂળ છે કે નહીં તે જાણવા, પાણીમાં કયા કયા દ્રાવ્ય ક્ષારો કેટલા પ્રમાણમાં છે તેમજ ક્ષારના ઘટકો વચ્ચેનું પ્રમાણ જાણવા ઉપરાંત અમુક પ્રકારની જમીનમાં પાણી લાંબો સમય વાપરી શકાય કે કેમ તે નક્કી કરવા પાણીનું પૃથક્કરણ જરૂરી છે. આ સાથે હાનિકારક ક્ષારયુક્ત પાણીનો ઉપયોગ માટે કરવો હોય તો જમીનના ગુણધર્મ પર વિપરીત અસર થયા વગર કયા ઉપાયો યોજી કેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો તે નક્કી કરવા તથા પાણી કયા પાકો માટે વાપરી શકાય તે જાણવા માટે પણ પાણીનું પૃથક્કરણ આવશ્યક છે.

 

પાણીનો નમુનો કુવા, નહેર કે પાતાળ કુવાના પાણીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જરૂરી છે. જેથી ૦.૫ થી ૧ લીટર પાણીનો નમુનો મેળવી પ્લાસ્ટિક કે કાચની બોટલમાં ભરી બુચ સારી રીતે બંધ કરી ઉપર લેબલ મારી માહિતી પત્રક સાથે પૃથક્કરણ માટે પ્રયોગશાળામાં મોકલવો જોઈએ.

 

પાણીનો નમુનો લેતી વખતે સપાટી ઉપર ઝાડના પાન કે કચરો હોય તો તેને દૂર કરવો જોઈએ. જો નમૂનો નહેરના પાણીનો લેવાનો હોય તો વહેતા પાણીમાંથી લેવો અને કુવા કે પાતાળ કૂવાના પાણીનો લેવાનો હોય તો મોટર કે એન્જિન ચાલુ કરી 30 મિનિટ પાણી જવા દઈ ત્યાર પછી નમૂનો લેવો જોઈએ. પાણી તથા જમીનનો મેળ જાણવાનો હોય તો પાણી તથા જમીન એમ બંને નમૂના સાથે મોકલવા વધુ હિતાવહ છે. જે પાણીનો નમુનો લેવાનો હોય તે પાણી વડે પ્રથમ બોટલ બરાબર સાફ કરવી અને ત્યારબાદ નમૂના માટે સ્વચ્છ બોટલ ભરવી જોઈએ. ઉપરાંત બોટલ પર પાણીથી ભુંસાઈ ન શકે તેવા અક્ષરોથી નંબર આપવા જોઈએ. આ વિશે વધુ માહિતી તથા માર્ગદર્શન માટે આત્માના જિલ્લા પ્રોજેક્ટ ડાયરેક્ટશ્રીનો સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!