GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મૂલ્યવાન બાળક જ, આદર્શ સમાજનું નિર્માણ કરે.: લેખક – વિજય દલસાણીયા

MORBI:મૂલ્યવાન બાળક જ, આદર્શ સમાજનું નિર્માણ કરે : લેખક – વિજય દલસાણીયા

 

 

લેખક – વિજય દલસાણીયા માણસના જન્મ પછી તેમનામાં માનવીયભાવોનું નિરુપણ કરીને એક આદર્શ માનવનું નિર્માણ કરવાનું કામ એ શિક્ષણ મારફત થતું હોય છે. શિક્ષણ એ શાળાની સાથે સાથે જીવનના અન્ય માધ્યમો મારફત પણ મળતું હોય છે પણ શાળા મારફત આપવામાં આવતું શિક્ષણ એ ઉત્તમ માધ્યમ છે.શાળા એ બાળકને જીવનપથ પર ચાલતો જ નહી, પણ દોડતો કરવાનું કામ કરે છે. પાયામાં ચણતર જો મજબૂત હોય તો ઈમારત પણ સક્ષમ બને તેમ પ્રાથમિક કક્ષાએથી જ જો બાળક્ના ભીતરના કૌશલ્યોના વિકાસની સાથે મૂલ્યોનું જો ખરા અર્થમાં તેમના વ્યક્ત્તિત્વમાં વાવેતર કરવામાં આવે તો બાળકરુપી સમાજની ઈમારત પણ એટલીજ મજબૂત અને આદર્શ બને .એ જ તો આખરે શિક્ષણનો ધ્યેય છે.
શિક્ષકએ માત્ર પાઠ્યપુસ્તકના બે પૂંઠા પૂરતુ જ સીમિત ન રહેતા, જીવનના આદર્શો, મૂલ્યો, અનુભવો ,સંસ્કારને પણ એકમ સાથે વણી લેવા જરુરી છે. જે બાળકને આગળ જીવનપથ પર ચાવીરુપ સાબિત થવાના છે. કોઈ પણ એકમમાં રહેલ મૂલ્ય જ્યાં સુધી બાળકના વ્યક્ત્તિવનો ભાગ ન બને ત્યાં સુધી તે એક વિચાર બનીને જ રહી જાય છે. શિક્ષક એકમને વાચી નાખે, બાળક લખી નાખે એટલું જ પૂરતું નથી સાથે તેમાં રહેલા મૂલ્યને જો બાકાત રાખી દે તો આવનાર સમાજને કેવો હશે તે કલ્પના જ ન થઈ શકે. બાળક્ને સલાહ આપવા કરતા જો કોઈ માધ્યમ થકી કામ લઈ શકીએ તો પરીણામ ખૂબજ ફળદાયી બને છે. એકમ આધારિત પ્રવૃતિઓ તો ખરીજ, સાથે એવી પ્રવૃતિઓ પણ કરાવી શકાય જેનાથી બાળક્ને આનંદની સાથે ભીતરના કૌશલ્ય વિકાસની સાથે મૂલ્યોનો વિકાસ પણ થાય. આજે વાત કરવી છે એવી પ્રવૃતિઓની, જેના થકી બાળકોની વૃતિ મૂલ્યલક્ષી બની ગઈ હોય. બાળક્ને કોઈ માધ્યમ થકી જ્યારે દિશા આપીએ ત્યારે પરિણામ કેવું સકારાત્મક બને તેની આ લેખમાં વાત કરવી છે. આ તમામ પ્રવૃતિઓ બાળકો શિક્ષણની સાથે બાળકો દ્વારા ઘર પર કરવામાં આવતી.
ચાલો, ચકલીને દોસ્ત બનાવીએ!


આ પ્રવૃતિની શરુઆત વરસ 2011થી કરી. જ્યારે શાળામાં હાજર થયો ત્યારે બાળકોની વૃતિ તોફાની ખરી, જોઈને સલાહ કરતા બાળકને માધ્યમ આપવાનું શરુ કર્યુ. આ સમયએ ચકલીના માળા મળવા મુશ્કેલ! જાતે વેસ્ટ ખોખામાંથી બાળકો સાથેજ બનાવી તેને આપવાનું શરુ કર્યુ. વાડી વિસ્તાર એટલે કામ પણ સરળ થયું.ધીરે ધીરે બાળકોની વૃતિમાં ફેરફાર થતો ગયો. નવરાત્રીના ગરબાનો પણ ચકલીના માળામાં અભિગમ એ સમય એ બાળકોને આપ્યો. આજે પણ 14 વરસથી આ પ્રવૃતિ આ બાળકો કરી રહ્યાં છે. જેનું પરિણામ બાળકોમાં મૂલ્યોની સાથે અત્યાર સુધીમાં અનેક ચકલીઓનો ઉછેર થયો તે છે. આજે દરેક બાળકની ઘરે ચારથી પાંચ ચકલીઓના માળા જોવા મળે, બાળકો પણ નકામાં બોકસનો ઉપયોગ ચકલીના માળામાં કરે છે. આજે 70 ઘર ગણીએ તો પણ વરસમાં દરેક બાળક 10 માળા લગાવે તો પણ દર વરસે અંદાજીત 1400 જેટલી ચકલીઓનો ઉછેર બાળકો કરે છે. હાલ બાળકો સવારમાં કૂંડામાં પાણી ભરે છે. ચણ નાખે છે. આને કહેવાય બાળક્નો મૂલ્ય વિકાસ! આજે શાળામાં પણ આ પ્રવૃતિ ચાલું છે. સલાહ કરતા માધ્યમનો પ્રભાવ વધુ એ જાણવા મળ્યું. આ છે જીવનનું શિક્ષણ એક સારું કાર્ય મને આપો!
આ પ્રવૃતિઓનો ઉદ્દેશ પણ બાળકોમાં મૂલ્યવિકાસનો હતો. અહીં પણ સલાહ આપવા કરતા માધ્યમ આપીને હેતુ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. દરેક બાળકએ અઠવાડિયા દરમિયાન કરેલ એક સારું કાર્ય તેમના નામ સાથે કાગળની કાપલી વર્ગમાં લગાવેલ બોક્સમાં મૂકવાની, નિયત સમયએ આ બોકસ ખૂલે ત્યારે તેમના સારા કાર્યને તમામ બાળકોની સામે રજૂ કરીને તેમને બિરદાવવાનો! પરિણામ એ આવ્યું કે, હવે બાળકોમાં સારું કાર્ય કરવાની ભાવના જાગૃત થઈ. સારા કાર્યોની જાણ થઈ. આ પ્રવૃતિ મારફત પણ જાણવા મળ્યું કે કોઈ પ્રબળ માધ્યમ થકી બાળક્ની ભીતરની શક્તિને જાગૃત કરી શકી એ તો પરિણામ પ્રાપ્ત થાય જ!
ચાલો, બચત કરીએ આ પ્રવૃતિ પણ એટલી જ મહત્વની છે.

અહીં પણ બાળકોને વ્યવહારીક જીવનમાં બચતનું મૂલ્ય સમજાવવાની વાત છે. દરેક બાળકોને એક એક બચતપેટી આપવામાં આવેલ. જેમાં દરેક બાળકોએ પોતાના વાપરવામાં દેવામાં આવતી રકમની બચત આ પેટીમાં કરવાની. છ મહિના સુધી દરેક બાળકોએ બચત કરી.દરેક બાળક્ની બચતપેટી જ્યારે ખોલવામાં આવી ત્યારે 2500 જેટલી રકમ તેમાંથી નીકળી. શાળામાં પ્રવાસ કરાવ્યો ત્યારે આ બાળકોને તેમના માતા પિતા પાસેથી લેવાની જરુર ન પડી. તેમને એક આત્મસંતોષ થયો કે, અમારી બચતથી અમે પ્રવાસ કરીએ છીએ. આજ ભાવનાએ તેમનામાં બચતના મહત્વનું મૂલ્ય સમજાવ્યું. આવી પ્રવૃતિઓ એકમની સાથે વ્યવહારિક જીવનનું જ્ઞાન પૂરું પાડે છે જે જીવનમાં તેમેને ચાવીરુપ સાબિત થવાનું છે.
આવી અનેક મૂલ્યલક્ષી પ્રવૃતિઓ કરાવી છે.આજે શાળાનું દરેક વૃક્ષ પણ બાળકના મૂલ્યશિક્ષણમા વધારો કરે છે. તેમના પર લગાડેલા મૂલ્યવાન વ્યક્તિઓના નામો બાળકોને આ પ્રેરણા પૂરી પાડે છે. તે દરેક્નું વર્ણન આ લેખમાં શક્ય નથી. અત્યાર સુધીમાં 1000 જેટલી વિવિધતાસભર પવૃતિઓ કરાવી છે. એક સત્ય ચોક્ક્સ સમજાયું છે કે, પ્રવૃતિ ક્યારેય નિષ્ફળ જતી નથી. જેમની અસર છેલ્લા બાળક સુધી હોય છે. છેલ્લે એકમ આધારિત મૂલ્યએ બાળક્ના વ્યક્તિત્ત્વનો એક ભાગ બની જાય ત્યારે આવું મૂલ્યલક્ષી બાળક જ આદર્શ સમાજનું નિર્માણ કરે, એ જ શિક્ષણનો મુખ્ય હેતુ છે. છેલ્લે સાચુ શિક્ષણ એ જ છે કે બાળક્ને તેમની શક્તિનો પરિચય કરાવીને જીવનપથ પર દોડતો કરે ,મૂલ્યવાન બનાવે

Back to top button
error: Content is protected !!