WAKANER:વાંકાનેરના કોઠારીયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું: રૂ. 1.60 લાખના દાગીના અને રોકડની ચોરી




WAKANER:વાંકાનેરના કોઠારીયામાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું: રૂ. 1.60 લાખના દાગીના અને રોકડની ચોરી

વાંકાનેર તાલુકાના કોઠારીયા (નવા પ્લોટ વિસ્તાર) ખાતે ચોરીનો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક બંધ મકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 1.60 લાખના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, કોઠારીયા ગામે રહેતા ઉસ્માનગનીભાઈ માથકીયાના રહેણાક મકાનને અજાણ્યા ચોરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનના રૂમમાં રાખેલા કબાટનું લોક કોઈ હથિયાર વડે તોડીને તેમાં રાખેલા કિંમતી સામાનની ચોરી કરી હતી.
ચોરી થયેલા સામાનમાં ફરિયાદીના પત્ની જેનમબેનના સોનાનો હાંસડી હાર, સોનાની પોંચી, સોનાની વીંટી, કાનના એરિંગ તથા સોનાની સેર અને દીકરી શફીનાબેનના ચાંદીના સાંકળા (જેની કુલ કિંમત રૂ. 1,50,000) તેમજ રૂ. 10,000 ની રોકડ રકમનો સમાવેશ થાય છે. આમ, કુલ રૂ. 1,60,000 ની માલમત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.આ ઘટના અંગે ઉસ્માનગનીભાઈ માથકીયાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


