WAKANER:વાંકાનેરના નવી કલાવડીમાં શેઢેથી પથ્થર હટાવવાની નજીવી બાબતે સગા ભાઈઓ વચ્ચે ધીંગાણું: વૃદ્ધ પર પથ્થરમારો




WAKANER:વાંકાનેરના નવી કલાવડીમાં શેઢેથી પથ્થર હટાવવાની નજીવી બાબતે સગા ભાઈઓ વચ્ચે ધીંગાણું: વૃદ્ધ પર પથ્થરમારો

વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામની સીમમાં વાડીના શેઢે પડેલા પથ્થરને હટાવવા જેવી નજીવી બાબતે સગા ભાઈઓ વચ્ચે મોટો ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. પથ્થર ઉપાડવાની આનાકાની કરવાથી ઉશ્કેરાયેલા નાના ભાઈ અને તેના પરિવારે મળીને ૬૩ વર્ષના વૃદ્ધ મોટા ભાઈ પર પથ્થરોના છુટ્ટા ઘા મારીને તેમને ઇજા પહોંચાડી હતી. આ હુમલા અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે એક જ પરિવારના ત્રણ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવી કલાવડી ગામે રહેતા સાજીભાઈ હયાતભાઈ શેરસીયા (ઉ.વ.૬૩) અને આરોપી હુસેનભાઇ હૈયાતભાઈ શેરસીયા બંને સગા ભાઈઓ થાય છે અને બંનેની વાડીઓ એકબીજાના શેઢે આવેલી છે. સાજીભાઈની વાડીના શેઢા પાસે એક પથ્થર પડેલો હોય, આરોપી હુસેનભાઇએ તેમને તે પથ્થર ત્યાંથી લઈ લેવા જણાવ્યું હતું. આ સાંભળી સાજીભાઈએ કહ્યું કે, “મારો દિકરો આવશે એટલે પથ્થર અહીંથી લઈ લેશે.”
વૃદ્ધ ભાઈનો આ જવાબ નાના ભાઈ અને તેના પરિવારને અણગમતો લાગ્યો હતો. આ સામાન્ય વાતમાં મામલો એટલો બિચક્યો કે નાના ભાઈ હુસેન અને તેના પરિવારે ઉશ્કેરાઈને સાજીભાઈ પર પથ્થરોના છુટ્ટા ઘા મારી દીધા હતા, જેમાં સાજીભાઈને શારીરિક ઇજાઓ પહોંચી હતી.
આ મારપીટના મામલે ભોગ બનનાર વૃદ્ધ સાજીભાઈ શેરસીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગામના જ ત્રણ આરોપીઓ:૧. હુસેનભાઇ હૈયાતભાઈ શેરસીયા ,૨. હલુબેન હુસેનભાઇ ,૩. રેનિશ હુસેનભાઇ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.


