નર્મદા જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ રહેલ NEET ની પરીક્ષા માટે બે કેન્દ્રો ની ફાળવણી
પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યકક્ષાએથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં નર્મદા જિલ્લા કલેક્ટર સહિત પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ જોડાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષ NEETની પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે તા.૦૪/૦૫/૨૦૨૫ના (રવિવાર)ના રોજ આ પરીક્ષા યોજાવાની છે.
નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને અત્યારસુધી પાડોશી જિલ્લાઓમાં NEETની પરીક્ષા આપવા અર્થે જવું પડતું હતું. જોકે, આ વર્ષે નર્મદા જિલ્લામાં એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, ગોરા, તા.ગરૂડેશ્વર અને એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, તિલકવાડા, તા. તિલકવાડા એમ કુલ-૨ પરીક્ષા કેન્દ્રો પરીક્ષા એજન્સી દ્વારા ફાળવવામાં આવ્યા છે.
આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ (રવિવાર)ના રોજ જિલ્લામાં બે પરીક્ષા કેન્દ્રો ખાતે NEET-૨૦૨૫ પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે બુધવારે સાંજે રાજ્યકક્ષાએથી મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓ સાથે પરીક્ષાલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, એસએસપી લોકેશ યાદવ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ સહિત પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીડિયો કોન્ફરન્સ દરમિયાન પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગ રૂમ પર પુરતી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત, આરોગ્ય લક્ષી સુવિધાઓ, પીવાનું પાણી, વીજળી અને વાહન વ્યવહાર તથા પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસઓપી મુજબ પરીક્ષા લક્ષી કામગીરી કરવી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે જોવા પર ભાર મૂક્યો હતો.