સરદાર સરોવર નર્મદા ડેમ છઠી વાર ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધામણાં કર્યા
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફ લાઈન એવી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કરી હતી.
મુખ્યમંત્રીએ ૧૦,૪૫૩ ગામો, ૧૯૦ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭માં ૧૭મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ ૦૬ વખત – વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘન મીટર છે.
રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જળ પૂજન અને વધામણા કરીને આગળ ધપાવી છે. તેમણે પારસમણિ સમાન નર્મદા જળનો કરકસર પૂર્વક અને વિવેક પૂર્ણ ઉપયોગ કરવાની સૌને અપીલ કરી છે.
મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે સહજ ભાવે સંવાદ-વાર્તાલાપ કર્યો હતો અને વિવિધ ટુરીસ્ટ ફેસેલિટીઝની જાણકારી મેળવી હતી.
સરદાર પટેલ જન્મ જયંતી ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં દર વર્ષે એકતા નગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીના વિશેષ અવસરે યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ આ એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંગેના આયોજનની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને ૩૦ દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારિત સમય કરતાં ૯ મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી.
આના પરિણામે આ વર્ષના ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં ૯૮ MCM (૩૪૩૧ MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ૮૭૭ તળાવો ભરવામાં આવ્યા છે. સૌની યોજનામાં ૧૧૪ MCM (૩૯૯૨ MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ૩૬ તળાવો, ૩૨૫ ચેકડેમ અને ૩૧ ડેમ ભરવામાં આવી રહ્યા છે તથા ૧૬૨ તળાવો, ૧૧૦૪ ચેકડેમ અને ૩૦ ડેમ ભરવામાં આવ્યા છે.
ચાલુ ચોમાસાનાં સમયમાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ ૩૦૨ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થયેલ છે. તેમજ અત્યાર સુધીમાં મહત્તમ ૧૦૫ કરોડ યુનિટ માસિક વિજળીનું ઉત્પાદન સપ્ટેમ્બર ૨૦૨૫મા થયુ છે. અત્યાર સુધીમાં કુલ ૬,૮૧૦ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.