નર્મદા : દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓના બિનજરૂરી કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં આવ્યા છે: ચૈતર વસાવા
અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
અમલીકરણ અધિકારીઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી બે વર્ષથી ગ્રાન્ટો પણ વપરાયેલી પડી રહી છે: ચૈતર વસાવા
અમલીકરણ અધિકારીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને નજર અંદાજ કરીને બહારના કોન્ટ્રાક્ટરોને કામ આપ્યા: ચૈતર વસાવા
ગુજરાત પેટર્નનું આયોજન આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે છે, બિન આદિવાસી એનજીઓ અને કોન્ટ્રાક્ટરો બારોબાર આયોજન કરી દેતા હોય તેને ચલાવવામાં આવશે નહીં: ચૈતર વસાવા
રાજપીપળા: જુનેદ ખત્રી
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 80 દિવસના જેલવાસ બાદ પ્રથમ વખત નર્મદા કલેક્ટર કચેરી ખાતે આયોજન અંગેની બેઠકમાં હાજરી આપી હતી.બેઠક ચાલુ થતા પેહલા તેઓ સીધા જ નર્મદા કલેક્ટરની ઓફિસમાં પહોંચ્યા હતા અને માંગ કરી હતી કે મિટિંગોમાં સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ કરનાર એક વ્યક્તિને હાજર રાખો.બાકી મારી પર પૂર્વઆયોજિત કાવતરાના ભાગ રૂપે ફરીથી મને ખોટા કેસોમાં ફસાવી શકાય એવી મને ભીતિ છે.
બાદ ચૈતર વસાવા સીધા જ મિટિંગ રૂમમાં પહોંચ્યા હતા.ત્યાં હાજર કર્મચારીઓને જણાવ્યું હતું કે આ રૂમમાં કાચની પાણીની બોટલ અને કાચનો ગ્લાસ મૂકતા નહી, બાકી મને ખોટી રીતે ફસાવશે.બેઠક પૂર્ણ થયા બાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે 13 કરોડ FRA ના કામોનું અને 60 કરોડ ગુજરાત પેટર્ન યોજનાના કામનું આયોજન હતું.અમારા જેવા લોકપ્રતિનિધિઓના કામો મંજુર કરવાની જગ્યાએ બહારની એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે.જેથી અમે કલેક્ટરને આજ સાંજેના છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું કહ્યું છે.મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની બાંહેધરી પણ કલેક્ટરે આપી છે.લોક ઉપયોગી કામોનો સમાવેશ નહીં કરાય તો કલેકટર કચેરીએ ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરીશું.મુખ્યમંત્રી અને પ્રભારી સચિવ સુધી મુદ્દો લઈ ન્યાય માટે લડી લઈશું.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમલીકરણ અધિકારીઓ કામ પર ધ્યાન આપતા નહીં હોવાને કારણે વર્ષ 2023-24 અને 2024-25 ની વણ વપરાયેલી ગ્રાન્ટ આજે પડી રહેલી છે.અમે અગાઉની મિટિંગમાં જે પણ કામની માંગણી કરી હતી તેમાંથી અમુક જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.બાકી કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામ લઈ લેવામાં આવ્યા છે.હું રાજપીપળા ભાડાના મકાનમાં રહીને પ્રજાના કામો કરીશ, મેં નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને કહ્યું છે કે કોઈ ભાડે મકાન હોય તો કહેજો.