વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાલોલ તાલુકાના ૧૦૫થી વધુ ખેડૂતો માટે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ’ યોજાઈ.

તારીખ ૧૮/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના અંતર્ગત કાલોલ તાલુકાના નોન-મિશન કાતોલ ક્લસ્ટરના ખેડૂતો માટે તાજેતરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વેજલપુર ખાતે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમાસના શુભ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૫થી વધુ ઉત્સાહી ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.કાર્યક્રમના મુખ્ય સત્રમાં KVK વેજલપુરના વડા ડૉ. કનકલતા અને પાક સંરક્ષણ નિષ્ણાંત ડૉ. શક્તિ ખજૂરીઆ દ્વારા પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક ડૉ. અભિષેક, આત્મા પ્રોજેક્ટના BTM સ્નેહલ વરીઆ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર જયેશ પગી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો: જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, વાપસા-આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત ખેતીમાં ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી કરવા માટે વિવિધ કુદરતી અસ્ત્રો જેવા કે બ્રહ્માસ્ત્ર, દશ પર્ણી અર્ક, સપ્ત ધાન્યાકુંર અર્ક, સુઠાસ્ત્ર અને નિમાસ્ત્ર બનાવવાની પદ્ધતિઓ અને તેના ફાયદાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત, ફાર્મર રજિસ્ટ્રી અને પોષણક્ષમ મિલેટ (જાડા ધાન્ય) પાકો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.બીજા સત્રમાં ગૃહ વિજ્ઞાન નિષ્ણાંત ડૉ. રેણુ દ્વારા પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ મોડેલ નિદર્શન અને ઘરઆંગણે શુદ્ધ શાકભાજી મેળવવા માટે ‘કિચન ગાર્ડન’ વિષય પર સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન તાલુકા ખેતી મદદનીશ કિરીટભાઈ પરમાર અને કિરણભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાતોલ ક્લસ્ટરના CRP અને કૃષિસખીઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ “સ્વદેશી અપનાવો” અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા.







