ANJARGUJARATKUTCH

અંજાર તાલુકામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન: વિજ્ઞાનને જીવંત બનાવતી BRC દ્વારા સર્જનાત્મક પહેલ.

રાજ્ય શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટના સહયોગથી ભાગ લેનાર ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૨૬ નવેમ્બર : વિજ્ઞાન એ માત્ર વિષય નથી, પરંતુ બાળકના જીવનને નવી દિશા આપનારા સાધન છે. તે બાળકોને વિશ્વને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવાનું શીખવે છે, જેમ કે પ્રશ્નો પૂછવા, તાર્કિક વિચાર કરવા અને સમસ્યાઓના ઉકેલો શોધવા. આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે – તેમની કલ્પનાશક્તિને પાંખો આપે છે, આત્મવિશ્વાસ વધારે છે અને ભવિષ્યમાં નવીનતા તરફ લઈ જાય છે. વિજ્ઞાનના આ અભિગમથી બાળકો માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનની કુશળતા પણ મેળવે છે, જે તેમને સ્વાવલંબી અને સમાજ માટે ઉપયોગી બનાવે છે.આ જ હેતુથી અંજાર તાલુકામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન મેળા (બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન) બીઆરસી ભવન, અંજાર દ્વારા યોજવામાં આવ્યું હતું, જેમાં બાળકોની અસીમ કલ્પનાશક્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિને એક મજબૂત મંચ મળ્યો. ચાલુ વર્ષે અંજાર તાલુકામાં 14 નવેમ્બર, 2025 (શુક્રવાર)ના રોજ આ વિજ્ઞાન મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રદર્શન દરમિયાન રજૂ થયેલી તમામ કૃતિઓમાંથી શ્રેષ્ઠ ત્રણ પ્રસ્તુતિઓને વિશેષ ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવી. સાથે જ દરેક ભાગ લેનાર બાળકને તેમની મહેનત અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટ ઉત્થાન દ્વારા સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું.રાજ્યકક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજારના ધારાસભ્ય તથા મંત્રી ત્રિકમભાઈ છાંગાનું ભવ્ય સ્વાગત કર્યા બાદ સચીદાનંદ મંદિર, અંજારના મહંતશ્રી પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના વરદ હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મંત્રી એ બાળકોની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની સરાહના કરી તેમને પ્રોત્સાહન આપ્યું, જેનાથી બાળકોને ખૂબ ઉત્સાહ અને પ્રેરણા મળી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ દ્વારા પ્રેરિત બાળકોની શ્રેષ્ઠ કૃતિઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટે મહત્વની ભૂમિકા ભજવી હતી. માત્ર પ્રથમ ક્રમાંક આવનારાઓને જ નહીં, પરંતુ બધા ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ ફાઉન્ડેશને ઉત્તમ પગલું લીધું હતું. ઉત્થાન પ્રોજેક્ટ 2019 થી વિવિધ તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં સહયોગ આપી રહ્યો છે. આજે તે કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનું પ્રતીક બની ચૂક્યું છે. 2018 થી મુંદ્રા, અંજાર, ભુજ, નખત્રાણા વગેરે વિસ્તારોની સરકારી શાળાઓમાં હજારો બાળકોને શિક્ષણની તકો આપી રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા બાળકોમાં જિજ્ઞાસા, નવું વિચારવાની ક્ષમતા અને સમાજ માટે કંઈક નવું કરવાનો જુસ્સો જાગે છે.સંપૂર્ણ તાલુકામાંથી આવેલા વિદ્યાર્થીઓએ એકબીજાની કૃતિઓ જોઈને નવું શીખ્યું અને સમજ્યું. બાળકોએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તૈયાર કરેલા મોડેલ્સ અને પ્રોજેક્ટ્સે તમામનું ધ્યાન ખેંચ્યું. ઉપસ્થિત અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમનું સુંદર સંચાલન CRC જસુબેન ભેડા તથા લીલાબેન લોહરે કર્યું હતું, જ્યારે આભાર વિધિ શામજીભાઈ છિપાએ કરી હતી.અદાણી ફાઉન્ડેશનનો હેતુ માત્ર વિજેતાઓને બિરદાવવાનો નથી, પરંતુ દરેક વિદ્યાર્થીમાં વિજ્ઞાન પ્રત્યે રસ જાગે, વિચારશક્તિ વિકસે અને નવચેતનાનો ભાવ ઉદ્દભવે – તે માટે દરેક બાળકને સમાન પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રદર્શન માત્ર એક દિવસની કાર્યક્રમ નથી – તે અંજારના બાળકોમાં વૈજ્ઞાનિક વિચારધારાનું બીજ વાવી ગયું છે, જે ભવિષ્યમાં મોટા સપનાઓનું વૃક્ષ બનીને વિકાસની નવી દિશાઓ ખોલશે. આ કાર્યક્રમને સફળ બનવવા માટે બીઆરસી કોઓર્ડિનેટર મુકેશભાઇ પટેલ,લાયઝન અંજાર ગોરસણીયા મધુબેન ખાનાભાઇ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અંજાર ગૌતમભાઇ જોષી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!