
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી મંદિરમાં વિશેષ હિંડોળા અને નૌકા વિહાર મનોરથ, કુત્રિમ વરસાદ સાથે નૌકા વિહાર – ભક્તો મંત્રમુગ્ધ બન્યા
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં વિશેષ હિંડોળા મનોરથની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શામળિયા માટે સાવન-ભાદો અને નૌકા વિહાર મનોરથનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મનોરથ દરમિયાન મંદિરમાં કૃત્રિમ રીતે વરસાદી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. કૃત્રિમ વરસાદના છાંટા વચ્ચે ભગવાન શામળિયાને મનોહર હિંડોળે ઝુલાવવામાં આવ્યા હતા. સાથે જ નૌકા વિહાર મનોરથ માટે નિજમંદિર પરિસરમાં વિશેષ હોજ એટલે કે જળાશય તૈયાર કરવામાં આવ્યો હતો.
આ જળાશયમાં શામળિયા શેઠજીને નૌકામાં બિરાજમાન કરીને ભવ્ય નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો. કૃત્રિમ વરસાદ અને જળ વિહારના આ અદભુત સંગમના દર્શન કરી શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા હતા.ભગવાન શામળિયાને હિંડોળે ઝુલાવવાના તેમજ તેમના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આજે અને આવતીકાલે પણ શ્રદ્ધાળુઓ આ પવિત્ર અને અદભુત મનોરથના દર્શન કરી શકશે. ભગવાન શામળિયાના મનોહર સ્વરૂપના દર્શન કરીને હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.





