AHAVADANGGUJARAT

ડાંગમાં વરસાદી પાણી ઓસરતા જનજીવન થાળે પડ્યુ:-બંધ થયેલા માર્ગો પુનઃ ખૂલતા જનજીવન ધબકતુ થયું….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ હવે રાહતના સમાચાર સામે આવ્યા છે.જિલ્લામાં બુધવાર અને ગુરુવાર દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકાર જેવી સ્થિતિમાંથી જનજીવન અને પશુપાલન હવે થાળે પડી રહ્યુ છે.શુક્રવારે કોઝવે-કમ-પુલો પરથી પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર અને દૈનિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ છે.ડાંગ જિલ્લામાં ચોમાસાનાં વિધિવત પ્રારંભ સાથે જ બુધવારે દિવસ અને રાત્રિ દરમિયાન તેમજ ગુરુવારે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, ચિંચલી, ગારખડી, પીપલાઈદેવી, લવચાલી, સુબિર, સિંગાણા, પીપલદહાડ, બરડીપાડા, કાલીબેલ, પીંપરી, ભેસકાતરી, સાકરપાતળ, ઝાવડા, વઘઇ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં અનરાધાર વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાયા હતા.આ વરસાદને કારણે જાહેરમાર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, અને કેટલાક ગ્રામ્ય માર્ગોને નુકસાન પણ થયુ હતુ. અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડ જેવી નદીઓ ગાંડીતુર બની હતી.જંગલ વિસ્તારનાં કોતરડા, નાળા, વહેળા, ઝરણા અને ખેતરો પણ પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા.ભારે વરસાદના કારણે જિલ્લાના 10 જેટલા માર્ગો ઓવરટોપિંગને કારણે બંધ થયા હતા. જેનાથી દસથી વધુ ગામો પ્રભાવિત થયા હતા. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા અને ઘાટ માર્ગોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર અવરોધાયો હતો. સાપુતારા ઘાટ માર્ગ અને સનસેટ જતા માર્ગે ભેખડો ધસી પડતા પ્રવાસી વાહન વ્યવહાર પણ થોડા સમય માટે અટકી પડ્યો હતો.જોકે, ગુરુવાર સાંજથી વરસાદનું જોર ઘટતાં અને શુક્રવારે કોઝવે-કમ-પુલો પરથી વરસાદી પાણી ઓસરી જતાં જનજીવનને મોટી રાહત મળી છે. જિલ્લાનાં જે દસ જેટલા માર્ગો વરસાદી પાણી ફરી વળવાને કારણે બંધ કરાયા હતા,તે હવે વાહન વ્યવહાર માટે ફરીથી ખુલ્લા થયા છે.માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પોલીસ અને ફોરેસ્ટ ફોર્સ, ડિઝાસ્ટર ટીમના લાશ્કરો અને સ્થાનિક ગ્રામજનોએ સાથે મળીને વૃક્ષો હટાવવા અને ભૂસ્ખલનને કારણે અવરોધાયેલા માર્ગોને તાત્કાલિક ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી હતી.જેના પરિણામે વાહન વ્યવહાર પૂર્વવત થયો છે.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ ગાઢ ધુમ્મસીયા વાતાવરણનાં પગલે વિઝીબિલિટી ઘટી હતી.નોંધનીય છે કે, ગુરુવાર સાંજનાં અરસાથી શુક્રવાર દિવસ દરમિયાન સાપુતારામાં 06 મિમી, જ્યારે સુબિરમાં 01 મિમી વરસાદ નોંધાયો હતો,જ્યારે આહવા અને વઘઇ પંથક આ સમયગાળા દરમિયાન વરસાદ વિના કોરાકટ જોવા મળ્યા હતા.

Back to top button
error: Content is protected !!