
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સરકાર દ્વારા સંચાલિત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત જન્મજાત ખામીઓ ધરાવતા બાળકોને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો ઉત્તમ દાખલો તાજેતરમાં નવસારી જિલ્લામાં જોવા મળ્યો છે.
માત્ર ૨ વર્ષની બાળકીને જન્મજાત હૃદયની ગંભીર તકલીફ (હૃદયમાં કાણું -Congenital Heart Disease – CHD, TOF) હોવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ તથા સ્વાસ્થ્યમાં અસહજતા અનુભવાતી હતી. તારીખ ૧૫ જૂન ૨૦૨૪ના રોજ બાળકીની તબિયત સામાન્ય ન હોવાથી નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત RBSK મેડિકલ ટીમ દ્વારા બાળકીના ઘરે મુલાકાત લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન હૃદયની તકલીફ જણાતા મેડિકલ ટીમ દ્વારા તાત્કાલિક સંદર્ભ કાર્ડ ભરીને પરિવારને સિવિલ હોસ્પિટલ, નવસારી ખાતે મોકલવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સ્થિત યુ. એન. મહેતા કાર્ડિયાક હોસ્પિટલ ખાતે જવા અંગે પરિવારને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અમદાવાદની યુ. એન. મહેતા કાર્ડિયાક હોસ્પિટલમાં જરૂરી તપાસ અને રિપોર્ટ બાદ બાળકીમાં હૃદયમાં કાણું હોવાનો નિદાન થયું હતું. નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તારીખ ૦૫ જુલાઈ ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક હૃદયની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ બાળકીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને હાલમાં બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ રહી સામાન્ય જીવન જીવી રહી છે.
બાળકીની માતાએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આરોગ્ય વિભાગની RBSK ટીમની સહાયતા દ્વારા સમગ્ર સારવાર અને ઓપરેશન વિનામૂલ્યે શક્ય બન્યું છે. ઓપરેશન બાદ મારી દીકરીના વજન તથા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે.” વધુમાં, તેમણે અન્ય ખામી ધરાવતા બાળકોના માતા-પિતાને પણ કોઈ સંકોચ વિના RBSK ટીમનો સંપર્ક કરી સમયસર સારવાર કરાવવાની અપીલ કરી હતી.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નવસારી RBSK ટીમના ડૉ. પ્રસાદ પટેલ, ડૉ. અંજલી એસ., ફાર્માસિસ્ટ મૃણાલી પટેલ, આરોગ્ય કાર્યકર અંકિતા પટેલ તેમજ ગામના આશા કાર્યકર પ્રદીપાબેન પટેલ તથા આરોગ્ય સપુરવાઈઝર રતિલાલ ભાઈ ચૌહાણએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK): ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) કાર્યરત છે, જે બાળ સ્વાસ્થ્ય તપાસ અને પ્રારંભિક સેવાઓ – પ્રારંભિક ઓળખ અને સંભાળ, સહાય અને સારવાર સાથે જોડાણના એક પ્રણાલીગત અભિગમથી જોડાયેલ છે. RBSK કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોના સ્વાસ્થ્ય જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે, તેમાં જન્મથી માંડીને 18 વર્ષ સુધીના બાળકોની જન્મ સમયે ખામીઓ, રોગો, ઉણપો અને વિકાસલક્ષી વિલંબ માટે તપાસનો સમાવેશ થાય છે જેમાં પ્રારંભિક તપાસ, મફત સારવાર અને જરૂરી હસ્તક્ષેપો માટે ૩૨ સામાન્ય સ્વાસ્થ્ય સ્થિતિઓ આવરી લેવામાં આવે છે.




