

દિપક પટેલ-ખેરગામ
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પાંચ સભ્યો પૈકી એક કાંકરો ખરી પડ્યો
ખેરગામ: ખેરગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વાડ-૧ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા દિગેશકુમાર ધીરુભાઈ પટેલે અંગત કારણોસર તાલુકા પંચાયતના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. દિગેશ પટેલે તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન પટેલને લેખિતમાં રાજીનામું સુપરત કર્યું હોવાનું જાણવા મળે છે. ચૂંટણીને હજુ ગણતરીના મહિના જ થયા છે અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પાંચ સભ્યો ચૂંટાયા હતા. ત્યારે એક સભ્યના રાજીનામાથી કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.રાજીનામાની જાણ થતાં કોંગ્રેસના કેટલાક સભ્યોએ મોડી રાત્રે દિગેશ પટેલ સાથે ચર્ચા કરી મનામણા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હોવાનું જાણવા મળે છે.દિગેશ પટેલે રાજીનામા પાછળ અંગત કારણો દર્શાવ્યા છે, જોકે રાજકીય વર્તુળોમાં રાજીનામા પાછળના કારણોને લઈને અનેક અટકળો શરૂ થઈ છે. તાલુકા પંચાયતની હજુ માંડ એક જ સભા યોજાઈ છે ત્યારે આવેલા આ રાજીનામાથી ખેરગામના રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.



