તા.૩૦/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
૧૦૮ ની ટીમની સુઝબુઝ : રોડ પર એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી, નવજાત બાળકનું બંધ હૃદય પુનઃ ધબકતું કરી અમૂલ્ય જીવન બક્ષ્યું
૧૦૮ ની ટીમે સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી હતી, અને નવજાત શિશુનું બંધ પડેલું હ્રદય પુનઃ ધબકતું કરવામાં મદદ કરી હતી.
Rajkot: આજે વહેલી સવારે ૦૬:૫૧ કલાકે વિંછીયા તાલુકાના સરતાનપર ગામની વાડી વિસ્તારમાં ૨૦ વર્ષીય પરપ્રાંતિય સગર્ભા પાયલબેનને પ્રસુતિનો દુઃખાવો ઉપડતાં વાડી માલિક રાજાભાઈએ ૧૦૮ ને કોલ કર્યો, જેને અનુલક્ષીને ૧૦૮ ઘેલા સોમનાથની ટીમ ગણતરીની મિનિટોમાં સરતાનપર પહોંચી ગયા હતા.
ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ઈન્દ્રજીત ડાંગર અને પાયલોટ મનસુખભાઇ મેણીયા ત્વરિત સગર્ભા માતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ ગયા, જયાં રસ્તામાં જ ખબર પડી કે એમ્બ્યુલન્સમાં જ આ મહિલાને પ્રસૂતિ કરાવવી પડશે. તેથી વાડી વિસ્તારમાંના રસ્તામાં એમ્બ્યુલન્સ ઊભી રાખી ૧૦૮ વડી કચેરીએ ડોક્ટર ભાવિકની ટેલીફોનીક મદદ મેળવી અને ડોક્ટર સાથે પરામર્શ કરી સફળતા પૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી.
પ્રસુતિ બાદ નવજાત શિશુને જન્મતા સમયે હદયના ધબકારા બંધ હતા અને બાળક રડ્યું નહોતું, ટીમે સતર્કતા દાખવી નવજાત શિશુને કૃત્રિમ શ્વાસ અને કાર્ડિયો પલ્મોનરી રિસર્સીટેશન આપ્યા, જેના પરિણામે ૨૫ મિનિટની ભારે જહેમત બાદ નવજાત શિશુના હ્રદય ધબકારા શરુ તો થયા, પરંતુ ધબકારા અનિયમિત હોવાથી તરત ફરી ડૉક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી જરૂરી ઇજેકશન, દવાઓ, નવજાત શિશુને જરૂરી ગરમી આપી અને હ્રદય ધબકારા સામાન્ય કરવામાં આવ્યા, જેના લીધે ટેક્નિશ્યનની સુઝબુઝને કારણે નવજાત બાળકનો અમૂલ્ય જીવ બચી શકયો.
વધુ સારવાર અર્થે આ મહિલા પાયલબેનને સામુહિક આરોગ્ય કેન્દ્ર, વિંછીયા ખાતે લઈ જવાયા હતા જ્યાં હાજર તબીબોએ પણ ૧૦૮ સેવા ઘેલા સોમનાથની કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરી બિરદાવી બાળકને નવજીવન આપવા બદલ સમગ્ર ટીમની સરાહના કરી હતી આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતા અને નવજાત શિશુને જરૂરી સારવાર પુરી પાડી હતી. હાલ બાળક અને માતા બન્ને સંપુર્ણપણે સ્વસ્થ છે. આ રીતે રાજકોટ જિલ્લા ૧૦૮ સેવા જિલ્લાની કોઈ પણ પરિસ્થિતિમાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે,