Rajkot: રાજકોટના નવાગામમાં આઈ.ઓ.સી.એલ.ના પ્લાન્ટમાં એલ.પી.જી. લીક થયા બાદ આગ ભભૂકી

તા.૧૮/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આગ કાબૂમાં ન આવતા લેવલ-૩ ઈમરજન્સી જાહેર કરાઈ: ચાર કર્મચારીને ગેસની અસર: આખરે સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું ખુલ્યું
Rajkot: રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે ૧૧.૩૪ કલાકે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ. આગ વિકરાળ બનતા લેવલ-૩ની ઇમરજન્સી જાહેર કરાઈ હતી.
સૌથી પહેલા કંપનીની સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા. જો કે આગ કાબૂમાં ના આવતા અંતે આસપાસના ઉદ્યોગો તેમજ ૧૧૨ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પોલીસ, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવી. દરમિયાન કંપનીમાં કામ કરતા આશરે ૧૨૦થી વધુ કર્મચારીઓને પ્લાન્ટમાંથી સલામત રીતે બહાર લઈ જવાયા હતા.
બીજીતરફ પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને ૧૦૮ એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં જ પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવવાની કવાયત શરૂ કરી. દરમિયાન પોલીસ, આર.ટી.ઓ.ની ટીમે વાહન વ્યવહારની વ્યવસ્થા સંભાળી તેમજ નજીકમાં એકઠી થયેલી ભીડને નિયંત્રણમાં રાખી હતી.
આ સાથે એન.ડી.આર.એફ.ની ટીમ પણ પહોચી ગઈ અને પી.પી.ઈ. કીટ પહેરીને દુર્ઘટના ક્ષેત્રમાં જઈને ગેસથી અસર પામેલા ચારેક જેટલા લોકોનું બચાવ કાર્ય શરૂ કર્યું. અડધા કલાકની કવાયત બાદ અંતે આગ કાબૂમાં લેવાઈ. દરમિયાન એસ.ડી.આર.એફ.ના જવાનો પણ ખડે પગે રહ્યા હતા.
આખરે આ સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, તેમજ જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના સંયુક્ત નિયામકશ્રીની ટીમ દ્વારા આઈ.ઓ.સી.એલ.ના નવાગામ ખાતે આવેલા પ્લાન્ટમાં અગ્નિશમન ક્ષમતા અને સજ્જતા ચકાસવા આ મોકડ્રીલ કવાયત યોજવામાં આવી હતી.
આ તકે જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના નાયબ નિયામક શ્રી એન.વી.ચૌધરી, ડિઝાસ્ટર મામલતદાર શ્રી મીરા જાની, આર.ટી.ઓ. અધિકારી શ્રી કેતન ખપેડ, જી.પી.સી.બી.ના સાયન્ટિફિક ઓફિસર શ્રી દશરથ પટેલ, એન.ડી.આર.એફ.ના શ્રી અનુપમજી, પોલીસ તેમજ એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






