Rajkot: ભારતીય માનક બ્યુરો, રાજકોટ દ્વારા “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ”ની ઉજવણી કરાઈ
તા.૨૧/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તમારું બિલ જ તમારી વસ્તુનો આધાર છે, માટે વેપારી પાસેથી બિલ અવશ્ય મેળવો
જે ગ્રાહક નાની રકમ બચાવવા બિલ નથી ખરીદતા, તે જ હેરાન થાય છે
૭૬૯ વસ્તુઓના ઉત્પાદનોમાં, નિર્માણમાં તથા વેચાણ માટે માનક ચિન્હ અંગે ગ્રાહકોએ રાખવાની તકેદારી અંગે તજજ્ઞોએ આપેલી સમજ
BIS વેબસાઈટ પર જુઓ વિવિધ માર્ક અને તેની ઓળખ
Rajkot: ભારતીય માનક બ્યુરો, રાજકોટ દ્વારા તા.૨૧ માર્ચના રોજ “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણી નિમિત્તે આર.પી.જે. હોટલ ખાતે સેમિનાર યોજાયો હતો, જેમાં ગ્રાહક અધિકાર, ગ્રાહક સુરક્ષા વગેરે અંગે નિષ્ણાતોએ વક્તવ્ય આપ્યું હતું.
“ટકાઉ જીવનશૈલી તરફ એક ન્યાયી સંક્રાતિ”થીમ આધારિત યોજાયેલ ઇ કાર્યક્રમમાં ભારતીય માનક બ્યુરો, રાજકોટના ડાઇરેકટર શ્રી પારિજાત શુક્લાએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમનો હેતુ, ગ્રાહકના અધિકારો, ફરજો તેમજ તેમની સુરક્ષા માટે કાર્યરત ભારતીય માનક બ્યુરો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ૭૬૯ ઉત્પાદનોમાં નિર્માણ, આયાત અથવા વેચાણ માટે બી.એસ.આઇ. દ્વારા અપાતા માનક ચિન્હ વિશે પણ જાણકારી આપી હતી.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ગ્રાહકો તેમજ ઉદ્યોગોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ છે, જેમ કે ધોરણો બનાવવા, ઉત્પાદનનું પ્રમાણપત્ર (ISI ચિન્હ), હોલમાર્કિંગ વગેરે પર કામ કરે છે.
સાયન્ટીસ્ટ-ડી શ્રી સત્યેન્દ્ર પાંડેએ ગ્રાહક અધિકારો કયા કયા છે, ગ્રાહકોની સુરક્ષા માટે ટોલ ફ્રી 1915 નંબર, પોર્ટલ, સહિત સહિત બાબતે માર્ગદર્શન આપી કહ્યું હતું કે, કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આવે ત્યારે બિલ અવશ્ય લેવુ જોઈએ, વસ્તુની ખરીદીનો આધાર બિલ છે, માટે વેપારી પાસેથી બિલ અવશ્ય મેળવવુ જોઈએ. તોલમાપ વિભાગના અધિકારી બી.ડી.ચૌહાણે NCH પોર્ટલ પર જઈ સરળ અને મફત ફરિયાદ કઈ રીતે કરવી તેની જાણકારી આપી છેતરપિંડી સામે અવાજ ઉઠાવવા ગ્રાહકો માટે સરકારે કાયદા બનાવ્યા છે તે દરેક ગ્રાહકે જાણતા હોવા જોઈએ, તેમ કહી માણસ જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી ગ્રાહક હોય છે તેમ કહ્યું હતું.
ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી હિરેન વાડુકરે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી FSSAI પોર્ટલ પર ગ્રાહકો ફૂડને લગતી ફરિયાદ કઈ રીતે તેની જાણકારી આપી હતી. એડવોકેટ શ્રી અશોકભાઈએ ગ્રાહક સુરક્ષા મંડળની કામગીરીની જાણકારી આપી કહ્યુ હતું કે,જે ગ્રાહક નાની રકમ બચાવવા બિલ નથી ખરીદતા, તે જ ગ્રાહક વધુ હેરાન થાય છે.
સાઇન્ટીસ્ટ-બી શ્રી રાહુલ રાજપૂતે રસોડામાં વપરાતા વાસણો સહિતની વસ્તુઓના સ્ટાન્ડર્ડ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. એડવોકેટ શ્રી આશિષભાઈએ ગ્રાહક સુરક્ષા કાયદો, કન્ઝ્યુમર ફોરમમાં કઈ રીતે ફરિયાદ કરવી તેના વિશે જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન સાયન્ટિસ્ટ-બી શ્રી શુભમે તેમજ આભારવિધિ શ્રી અમનસિંગે કરી હતી. કાર્યક્રમમાં ગ્રાહકો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.