Rajkot: રાજકોટના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વેગવંતી બનતી ‘મતદાન જાગૃતિ ઝુંબેશ’
તા.૨૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે.મુછારના નેતૃત્વમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે મતદાન અંગે જાગૃતિની પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે. જેમાં સ્વીપ (સિસ્ટમેટીક વોટર’સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન) પ્રોગ્રામ અંતર્ગત ‘મતદાન જરૂર કરો અને કરાવો’ ની નેમ સાથે અંતરિયાળ વિસ્તારથી લઈને મહાનગર સુધી મતદાન જાગૃતિ ઝુંબેશ વેગવંતી બની રહી છે.
રાજકોટ શહેરમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવી એ હાઉસિંગ સોસાયટીઓના ચેરપર્સન્સ સાથે તેમના મતદાનમથક અંગે જાણકારી આપવા બેઠક કરી હતી. જેમાં સ્થાનિકોને લોકશાહી વ્યવસ્થા, મતદાન પ્રક્રિયા, ચૂંટણીલક્ષી એપ્લીકેશન સહિતની બાબતો વિશે જાણકારી આપીને મતદાનના શપથ લેવામાં આવ્યા હતા. ઉપરાંત, કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયમાં સાંસકૃતિક કાર્યક્રમ અને ચિત્ર પ્રદર્શન થકી લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તેમજ સંગીત નાટ્ય અકાદમીના કલાકારો અને કલાકારશ્રી પલ્લવીબેન વ્યાસ અને તેની ટીમે નૃત્ય થકી મતદાનની જાગૃતિનો પ્રયાસ કર્યો હતો.
વિશેષમાં, ૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી વિમલભાઈ ચક્રવર્તીના દિશાનિર્દેશન મુજબ કોટડાસાંગાણી તાલુકામાં આયુષી એન્જીનીયરીંગ પ્રાઇવેટ લીમીટેડ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કર્મચારીઓને મતદાનનું મહત્વ સમજાવીને મત આપવા જવાની અપીલ કરી હતી. તેમજ મતદાનની તારીખ ૭ મેના રોજ સવેતન રજા બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ રતનપર, લોધીડા સહિતના ગામોમાં ગામલોકોને મતાધિકારનો ઉપયોગ કરવા જાગૃત કર્યા હતા.