તા.૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા તા.૧ લી જુન શનિવાર સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમિયાન હોટલ પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટરોડ, રાજકોટ ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં દંતવૈધ શ્રી ભરતભાઇ વ્યાસ દ્વારા પૌરાણિક જલંધરબંધ યોગપદ્ધતિ દ્વારા દાંતને લગતી સમસ્યાઓનું,અણીયારાવાળા પુરુષોત્તમભાઈ અકબરી દ્વારા સાંધાને લગતી તમામ સમસ્યાઓનું નિદાન અને સારવાર કરવામાં આવ્યા હતા તથા પ્રાણીક હિલિંગ થેરાપી દ્વારા મહેન્દ્રભાઇ મેએ સારવાર આપી હતી.
આ ઉપરાંત ડાયાબિટિસ, બ્લડપ્રેશર જેવી જટીલ બીમારીનુ કેમ્પમાં નિદાન અને આવા રોગોને અટકાવવા તેમજ જેમને આ રોગ નથી તેમને પણ નિદાન કરી ને ભવિષ્યમાં આવા રોગો ન થાય તેની કાળજી અને સાવચેતી અંગેનું માર્ગદર્શન અને સારવાર ડૉ. કાસુન્દ્રાની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું.
સાથોસાથ આ કેમ્પ માં સાંધાના દુખાવા, સોરીયાસીસ, કેન્સર તેમજ કોઈ પણ જાતની બીમારીમાં ટેરાહેર્ટ્ઝ થેરાપી માટે અમદાવાદથી ડૉ. રાજેશભાઈ વાઢવા તેમજ ધીરુભાઈ સોનીએ સેવા આપી અને અનિદ્રા,આંખના કાળા કુંડાળા, ઘુંટણનો દુખાવા, વજન ઘટાડવા, વાયુ, પગના સોજા, લોહીના પ્રવાહમાં સુધારો થવો,વેરીકોઝ વેઇન,વાત,પીત,કફનો જડમૂળથી નાશ જેવી અનેક સમસ્યાઓનું કાસ્ય થેરાપી દ્વારા નિદાન અને સારવાર સાથેના ૬ કેમ્પ યોજવામાં આવ્યા હતા.
આ કેમ્પનો રાજકોટની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો તેમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉ. વલ્લભભાઇ કથીરિયા તેમજ ટ્રસ્ટી મંડળ અને ટ્રસ્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું. આ નિઃશુલ્ક કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી મંડળ સાથે ટ્રસ્ટનાં કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી તેમ શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.