Rajkot: રાજકોટ જિલ્લાના દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવાની રહેશે

તા.૨૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
દિવ્યાંગોને મોટરાઈઝ્ડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેરનો વિનામૂલ્યે લાભ લેવા અનુરોધ
Rajkot: ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગો અને વૃદ્ધો માટે કાર્યરત વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે સંત સુરદાસ યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના, મનોદિવ્યાંગ (બૌદ્ધિક અસમર્થતા) વ્યક્તિ પેન્શન યોજના અને વૃદ્ધ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને માસિક નાણાકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી સીધી જ ખાતામાં ચૂકવવામાં આવે છે. આ યોજનાઓના લાભાર્થીઓએ દર વર્ષે પોતાની હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. જે અન્વયે ચાલુ વર્ષે મે અને જૂન માસ દરમિયાન હયાતીની ખરાઈ કરાવવાની રહેશે. આ માટે લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ. મારફતે, તાલુકા કક્ષાએ તાલુકા મામલતદાર કચેરીની સહાય શાખા તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી અથવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે રૂબરૂ જઈને સમયસર ખરાઈ કરાવવાની રહેશે.
આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં દિવ્યાંગોની આત્મનિર્ભરતા અને સુગમતા માટે મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત ૬૦% કે તેથી વધુ લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા લાભાર્થીઓને સરકાર તરફથી વિનામૂલ્યે મોટરાઈઝ્ડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવામાં આવશે. ત્યારે રાજકોટ જિલ્લાના પાત્રતા ધરાવતા દિવ્યાંગોને આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




