GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા-અમદાવાદ હાઈવે પર સિમલા પાસેના ખાડાઓ બન્યા જીવલેણ, તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ

અવિરત વરસાદથી રસ્તા પર ભરાયા પાણી, વાહનચાલકોની હાલત કફોડી

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા સિમલા વિસ્તારમાં રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે રસ્તા પરના મોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આ ખાડાઓ ‘મોતના ખાડા’ સમાન બની ગયા હોવા છતાં, સંબંધિત તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.
વાહનચાલકોને ભારે હાલાકી
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સિમલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જૂની છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદનું પાણી રસ્તા પર જ ભરાઈ રહે છે. આ પાણીમાં મોટા ખાડાઓ દેખાતા નથી, જેના કારણે વાહનચાલકોને અંદાજ આવતો નથી અને વાહનો ખાડામાં પટકાય છે. આનાથી વાહનોને ભારે નુકસાન થાય છે અને ખાસ કરીને બાઈકચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ઘણીવાર તો કાર પણ આ ખાડાઓમાં ફસાઈ જાય છે અને તેને ધક્કો મારીને બહાર કાઢવી પડે છે.

તંત્રની બેદરકારી સામે આક્રોશ

થોડા સમય પહેલાં સ્થાનિકોએ ભંગાર મૂકીને વાહનચાલકોને ચેતવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે તે પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. વાહનચાલકોમાં આ સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે તંત્રની બેદરકારીને કારણે પ્રજાના જીવ જોખમમાં મુકાયા છે. સારા રસ્તાઓ સુવિધા આપે છે, જ્યારે આ રસ્તા પરના ખાડાઓ મોતને આમંત્રણ આપી રહ્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોએ તંત્ર પાસે તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવા અને રસ્તાનું

સમારકામ કરવાની માંગ કરી છે.

ગોધરા નેશનલ હાઈવે પર પણ જોખમ
ગોધરા નેશનલ હાઈવે પર ડૉ. મુવાડા પાસે આવેલા બ્રિજ નીચે પણ એક મોટો ખાડો પડ્યો છે. આ ખાડાનું સમારકામ કરવાને બદલે માર્ગની વચ્ચે બેરીકેડ મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિક અવરોધાઈ રહ્યો છે અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે. તંત્રના આવા અવિચારી પગલાથી વાહનચાલકોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!